રાજનાથ સિંહે અમેરિકાના સંરક્ષણ મંત્રી સાથે ફોન પર વાત કરી છે. સંરક્ષણ મંત્રાલયે બંને વચ્ચેની વાતચીત અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. જાકે,રિપોર્ટ્‌સના આધારે, એવું માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચે પહેલગામ આતંકવાદી હુમલા સંબંધિત વાતચીત થઈ હતી. આ આતંકવાદી ઘટના પાછળ પાકિસ્તાનની ભૂમિકા છે.
તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ તેમના પરિવાર સાથે ભારતમાં હાજર હતા. આતંકવાદી ઘટના બાદ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને તેમને ‘સંપૂર્ણ સમર્થન’નું આશ્વાસન આપ્યું. અમેરિકા ઉપરાંત, રશિયા, ઇઝરાયલ, બ્રિટન જેવા ઘણા દેશોએ પણ ભારત સાથે એકતા દર્શાવી છે.
અગાઉ, રાજનાથ સિંહે ફેબ્રુઆરીમાં પીટ હેગસેથને ફોન કરીને નવા યુએસ સંરક્ષણ પ્રધાન બનવા બદલ અભિનંદન આપ્યા હતા. બંને સંરક્ષણ મંત્રીઓએ જમીન, હવા, સમુદ્ર અને અવકાશ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. રાજનાથ અને પીટ હેગસેથે ભારત-અમેરિકા સંરક્ષણ સહયોગ પ્રવૃત્તિઓની વ્યાપક સમીક્ષા પણ કરી. બંને વચ્ચેની વાતચીત અંગે, સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે ટેકનોલોજી સહયોગ, સંરક્ષણ ઔદ્યોગિક પુરવઠા શૃંખલાઓનું એકીકરણ, લોજિસ્ટિક્સ અને માહિતી શેરિંગ તેમજ સંયુક્ત લશ્કરી કવાયતો ચાલુ રાખવા અંગે ચર્ચા થઈ હતી. બંને સંરક્ષણ પ્રધાનો ૨૦૩૫ સુધી દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે પણ સંમત થયા.