એક સમય હતો જયારે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું વજન નહોતું. એક લાંબો ગુલામીનો કાલખંડ ચીરીને ભારતમાં જયારે મુક્તિનો સૂર્યોદય થયો ત્યારે દેશ કંગાળ હાલતમાં હતો. અનાજ, શિક્ષણ, આરોગ્ય, સમાજસુધાર, સંરક્ષણ અને એવા લગભગ બધા આયામો પર દેશે એકડે એકથી શરૂઆત કરવાની હતી. પ્રજામાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું હતું અને નેતાગીરી પાસે સરકાર ચલાવ્યાનો અનુભવ પણ ઓછો હતો. આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વજૂદ સ્થાપિત કરવાની વાત તો ખૂબ દૂર હતી. છત્રીસ કરોડ જનતાનો પેટનો ખાડો પૂરવાથી લઈને સળગતી સરહદો અને કોમવાદ અંગ્રેજો વારસામાં આપીને ગયા હતા. આઝાદ થયા બાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ નોન એલાઈન મુવમેન્ટ નામના સંગઠનમાં જોડવાનું નક્કી કર્યું હતું. આ સંગઠન વિશ્વના ત્યારના સુપર પાવર દેશોથી અલગ હતું. દેશની સર્વોચ્ચ નેતાગીરીનો ઝોક મૂડીવાદ કરતા સમાજવાદ તરફ વધુ હતો. કદાચ નેહરુના માનસ પર ગાંધી વિચારોની પકડ હજુ મજબૂત હતી. મૂડીવાદ દેશનું કલ્યાણ નહિ કરી શકે એવો મત પ્રવર્તતો હતો. ઇંગ્લેન્ડ દ્વારા ગુલામ બનાવવામાં આવેલા અને ત્યારબાદ મુક્ત કરેલા દેશોના સંગઠન કોમનવેલ્થમાં પણ ભારત જોડાયું હતું. કોમનવેલ્થ ઇંગ્લેન્ડનો સામંતશાહી અહમ પાળતું સંગઠન છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આવા બીજા સંગઠનો સાથે જોડાઈને દેશે ઘરઆંગણે પંચવર્ષીય યોજનાઓથી દેશની આર્થિક, સામાજિક પ્રગતિ આગળ વધારવાનું નક્કી કર્યું. ઘણી પંચવર્ષીય યોજનાઓ અને ઘણા વર્ષો સુધી સ્થિર બહુમત વાળી સરકારો રહી, પરંતુ દેશની આર્થિક પ્રગતિ અને આંતરરાષ્ટ્રીય સબંધોમાં જોઈએ તેટલી પ્રગતિ ન થઇ શકી. વધારામાં, આઝાદી બાદ તુરંતથી સરહદી સંઘર્ષમાં ભારત ખુંપી ગયું. થોડા વર્ષોમાં જ ચાર પાંચ મોટા યુદ્ધોમાં ઉતરવું પડ્‌યું.
આઝાદી બાદના લગભગ સાત દાયકા સુધી વિદેશનીતિ બાબતે લગભગ એક જ દિશાની વિચારધારાથી કામ લેવામાં આવ્યું હતું. પશ્ચિમના દેશોથી ભારતે રાખેલું અંતર આ વિચારધારાને આભારી હતું. ચીન જેવા દેશોએ સામ્યવાદના નેજા હેઠળ પણ મૂડીવાદ આધારિત રાક્ષસી પ્રગતિ કરી લીધી. પોતાનું રાજકીય વજૂદ વૈશ્વિક સ્તરે સ્થાપી દીધું. બરાબર આ જ સમયની ભારતની નેતાગીરી આ બાબતે સાપેક્ષે નબળી પુરવાર થઇ. ચીને આર્થિક પ્રગતિ દ્વારા એવી ધાક જમાવી દીધી કે વિશ્વના દેશોએ તેની સાથે સબંધ રાખવો પડે. આ સમયે ભારત યુનો જેવા સંગઠનમાં પાકિસ્તાનના ચોથી કક્ષાના નેતા દ્વારા કાશ્મીર બાબતે ઉઠાવાયેલા વાહિયાત મુદ્દાઓનો જવાબ આપી રહ્યું હતું. ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનના પ્રતિસ્પર્ધી તરીકે અટવાઈ ગયું. દુનિયા ભારતને જયારે પણ વૈશ્વિક મંચ પર જોતી ત્યારે એ પાકિસ્તાન દ્વારા મુકવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપતા જોતી હતી. ઝફરુલ્લાએ પહેલી વખત યુનોમાં કાશ્મીર પ્રશ્ને ભારતને ઘેર્યું ત્યારથી લગભગ કારગીલ યુદ્ધ સુધી ભારત બેકફૂટ પર રહ્યું. પાકિસ્તાન ભારત માટે લગભગ સાત દાયકા એક એવો અવરોધ બની ગયું જેણે ભારતની ક્ષમતા હોવા છતાં પ્રગટ ન થવા દીધી, અથવા તો બધી ક્ષમતા તેનો મુકાબલો કરવામાં જ વપરાઈ ગઈ. એક એવો પણ સમય હતો કે જયારે કાશ્મીર મુદ્દે કોઈપણ દેશનો કોઈપણ નેતા ભારતને સલાહ કે ધમકી આપી જતો. મિડલ ઇસ્ટથી લઈને યુરોપ કે અમેરિકા, બધા પાસે ભારતને આપવાની સલાહ અને ધમકીનું કાગળિયું છાપેલું જ રહેતું. એમનો કોઈ છગ્ગું પંજુ આંતરરાષ્ટ્રીય મંચ પર વાંચી જતો.
ભારત માટે તક હતી જયારે મનમોહનસિંહ જેવા અર્થશાસ્ત્રી દેશના વડાપ્રધાન બન્યા. પણ દેશના બદનસીબે એના બે કાર્યકાળ કૌભાંડોથી ચિતરાઈ ગયા. ડાબેરીઓની દયાથી બનેલી ગઠબંધનની એ બે સરકારોએ દેશની આર્થિક અને રાજકીય પ્રગતિ રૂંધી રાખી. ઘણા પક્ષોના હિતો સાચવવા કે ઘણા પક્ષોની વિચારધારાને માન આપવામાં સરકારની ઠોસ નિર્ણાયકતા ક્યારેય ન ઉભરી શકી. નબળા જવાબોને આભારી સરહદ પારના આતંકવાદે સરહદી અને આંતરિક સુરક્ષા બગાડી નાખી. આ બધાની અસર આર્થિક સુધારાઓ પર પડી.
નેતાગીરી પાસે કુનેહ અને કુટનીતિ એ બે ચીજ એવી છે જે નેતા, પક્ષ કે દેશને ઉંચાઈ પર મૂકી શકે છે. ભારત આજે વૈશ્વિક સ્તરે ક્યારેય નહોતી એવી કુનેહ અને કુટનીતિ દ્વારા કામ લઇ રહ્યું છે. જે દેશો સમક્ષ ક્યારેક આર્થિક સહયોગ માટે કૃપાપાત્ર બનવા પ્રયત્નો થતા હતા એ દેશો સાથે આજે સહભાગીદારી સંભવ બની રહી છે.
કોરોના કાળે દુનિયાએ ભારતનું માયાળુ અને લોકકલ્યાણકારી સ્વરૂપ જોયું છે. એ કપરા સમયમાં ભારતે વિશ્વના નાનામાં નાના દેશને બનતી મદદ પહોચાડી હતી. વિશ્વના કોઈ દેશના વડાપ્રધાન જયારે તમારા દેશના વડાપ્રધાનના ચરણ સ્પર્શ કરવા ઝુકે ત્યારે દેશનું માથું ઊંચું થાય એ સ્વાભાવિક છે. એ કોઈ વ્યક્તિને તેમ નથી કરતા, પણ દેશ ભારત પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરે છે. અને તાજેતરમાં કેનેડા સાથેના વણસેલા સબંધોમાં કઠોર રાજદ્વારી સ્વરૂપ પણ જોયું છે. દેશની મદદ કરવાની ભાવના એક વાત છે અને દેશની અખંડીતતા અને સાર્વભૌમ બીજી બાબત છે એ ભારતે વૈશ્વિક પટલ પર સાબિત કરી બતાવ્યું છે. કેનેડા સાથેના સબંધો ક્યાં જશે એ આવનારો સમય જ બતાવશે, એ ભારત અને કેનેડાના સર્વોચ્ચ રાજદ્વારીઓની વિવેકબુદ્ધિ નક્કી કરશે. પણ આજે ભારતે એ બાબતે લીધેલ સ્ટેન્ડ કાબીલેદાદ છે. એ દરેક દેશની એ જોવાની ફરજ છે કે પોતાની જમીનનો ઉપયોગ કોઈ બીજા દેશની અખંડીતતા અને સાર્વભૌમને તોડવા માટે ન થાય. ખાલિસ્તાનના મુદ્દે ભારતે ઘણું લોહી વહાવ્યું છે. હવે એ મજબૂર હાલત નથી. ૧૯૮૬માં નાના એવા ઇથોપિયાએ સક્ષમ ઇટલી અને ૧૯૦૫માં જાપાને તોતિંગ રશિયાને હરાવીને એમની શ્રેષ્ઠતાના ભ્રમને ભાંગી નાખ્યા હતા.
અમેરિકન પ્રેસિડેન્ટ દ્વારા શપથવિધિ સમારોહમાં ભારતના વડાપ્રધાનને આમંત્રણ આપવામાં નથી આવ્યું, એવા સમાચારો ચાલી રહ્યા છે. ગર્ભીતર્થો અને સૂચિતાર્થો નિચોવાઈ રહ્યા છે. હિન્દુસ્તાનમાં એક વર્ગ છે જે આનાથી ખુશ પણ થશે. પરિણામો શું હશે એ ભવિષ્ય કહેશે. આ ભારતની વિદેશનીતિની નિષ્ફળતા હરગીઝ નથી. અમેરિકાની વિદેશનીતિની નિષ્ફળતા વધુ લાગે છે. રાષ્ટ્રની તાકાતનું એક માત્ર પરિમાણ આર્થિક નથી હોતું.
ક્વિક નોટ — દાદા ધર્માધિકારી એ સરદાર પટેલને રુદ્ર ભદ્ર કહ્યા હતા. રુદ્ર રડે ત્યારે આંખમાંથી રજત ટપકે, આંસુ નહિ.