રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા ખેતલા આપા મંદિરમાંથી વન વિભાગની ટીમે ૫૨ જીવતા સાપો મેળવ્યા છે, જ્યારે મંદિરના મહંત મનુ મણીરામ દુધરેજીયાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વન વિભાગે જણાવ્યું કે મંદિરમાં કુલ ૧૦૦થી વધુ સાપો ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા, જેને નાગદેવતાના દર્શન તરીકે શ્રદ્ધાળુઓને બતાવવામાં આવતા હતા.
મંદિરના મહંત દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરાયેલા અનેક વીડિયોમાં તેઓ સાપોને હાથમાં લઈને શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપતા અને “આ સ્થળ નાગરાજાનું ઘર છે” તેવો પ્રચાર કરતા જાવા મળતા હતા. આ વીડિયો વાયરલ થતાં વન વિભાગને બાતમી મળી અને તુર્ત જ દરોડો પાડવામાં આવ્યો.
દરોડા દરમિયાન મંદિરના વિવિધ ભાગોમાંથી ઝેરી તેમજ બિનઝેરી પ્રજાતિના ૫૨ જીવતા સાપો મળી આવ્યા હતા. વધુ તપાસમાં ખુલ્યું કે અહીં કુલ ૧૦૦થી વધુ સાપો રાખવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક મૃત હાલતમાં પણ મળી આવ્યા છે.“સાપ જંગલી પ્રાણીઓની શ્રેણીમાં આવે છે અને તેને કેદમાં રાખવા કે પ્રદર્શન માટે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ-૧૯૭૨ હેઠળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા મુખ્ય વન્યપ્રાણી સંરક્ષક પાસેથી પરવાનગી લેવી ફરજિયાત છે.
અહીં એકપણ પરવાનગી નહોતી.એટલે ”મહંત વિરુદ્ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની કલમ ૯, ૩૯, ૫૦ અને ૫૧ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.વન વિભાગની ટીમે સાપોને સલામત રીતે રેસ્ક્્યુ કરીને નજીકના સાપ રેસ્ક્્યુ સેન્ટર તથા નાયબ વન સંરક્ષક કચેરીમાં ટ્રાન્સફર કરી દીધા છે. તમામ સાપોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે અને તેમને જંગલમાં મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.








































