રાજકોટ શહેરમાં વ્યાજખોરોના ત્રાસની ઘટનાઓ યથાવત સામે આવી રહી છે. આવી જ એક ચોંકાવનારી ઘટનામાં કેવડાવાડી વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ અમિતભાઈ અરવિંદભાઈ તન્ના (ઉંમર ૪૦ વર્ષ) તરીકે થઈ છે. અમિતભાઈએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી, જેને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં વ્યાજખોર જયદીપ દિનેશભાઈ મૈયડ અને પ્રવિણભાઈ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સુસાઈડ નોટમાં વ્યાજખોરોના ત્રાસ અને માનસિક દબાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જે મામલાને વધુ ગંભીર બનાવે છે.

પોલીસ તપાસ દરમિયાન મૃતકના મોબાઈલ ફોનમાંથી એક વીડિયો પણ મળી આવ્યો છે. વીડિયોમાં અમિતભાઈ મેલડી માતાજીના મંદિરમાં બેઠા હોવાનું જોવા મળે છે અને તેમાં તેઓ ભાવુક અવાજમાં વ્યાજખોરો સામે પોતાની વેદના વ્યક્ત કરતા હોવાનું જાણવા મળે છે. વીડિયોમાં તેમણે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જવાની વાત કરી હોવાનું પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુસાઈડ નોટ અને વીડિયો સહિતના પુરાવાના આધારે પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. શહેરમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસને કારણે એક પરિવારના કમાઉ સભ્યના મોતની ઘટના સામે આવતા આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.