(એ.આર.એલ),રાજકોટ,તા.૧૬
રાજકોટમાં પોલીસ ફરી બદનામ થઈ હોય તેવી ઘટના સામે આવી છે. લીંબડીમાં સોનાના વેપારીના આપઘાતની ઘટનામાં મૃતકના પુત્ર અને ભાઈએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ પર રૂ. ૩૦ લાખનું સોનું પડાવી લેવાનો આરોપ લગાવ્યો છે. ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા હોવાની ચર્ચા છે.
સુરેન્દ્રનગરના લીંબડીમાં રાજકોટના વેપારી હિરેન આડેસરાના પિતા અશ્ર્વિન આડેસરાએ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં મૃતક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેના આધારે પોલીસે વિવેક ભુવા, મનોજ રાજપુરા, ધર્મેશ પારેખ અને અતુલ પારેખ સામે આત્મહત્યા માટે મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવમાં મૃતક અશ્ર્વિન આડેસરાના ભાઈ તેજશ આડેસરા અને તેના પુત્ર હિરેન આડેસરાએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા કિશન આહીર અને ભગીરથસિંહ ઝાલા સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
તેણે આક્ષેપ કર્યો હતો કે સોનાના વેપારીઓએ અશ્ર્વિન આડેસરા અને તેના પુત્ર સામે ખોટી ફરિયાદ નોંધાવી હતી અને પિતા-પુત્રને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને આશરે રૂ. ૩૦ લાખનું સોનું પડાવી લીધું હતું. આ બનાવમાં મૃતકના ભાઈ અશ્ર્વિન આડેસરાએ જણાવ્યું હતું કે, અશ્ર્વિનભાઈએ પોતાની સ્યુસાઈડ નોટમાં પોલીસે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.૩ લાખ આપ્યા હોવાનું જણાવ્યું હતું.
ચાર સોની ધંધાર્થીઓએ પોલીસ સાથે મળીને સોની કર્મચારી હિરેન આડેસરાને ખોટી રીતે ફસાવ્યા અને સોની કર્મચારીને પોલીસ સ્ટેશનના કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલાએ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. પુત્ર પરના ખોટા આક્ષેપોથી કંટાળીને અશ્ર્વિનભાઈએ લીંબડીમાં આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસ કમિશનર બ્રજેશ ઝાને બંને પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. આ કેસમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા બંને પોલીસકર્મીઓ સામે તપાસના આદેશો જારી કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.