રાજકોટ કોર્પોરેશનની મિલકતો ભાજપના નેતાઓ જાણે પોતાના પિતાની સમજી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે…પ્રજાના ટેક્ષના પૈસાથી બનેલું સ્નાન ઘરમાં ભાજપના નેતાએ પોતાનું સીવણ ક્લાસ ખોલી દીધું…વિધવા મહિલાઓને મદદરૂપ થવાનું બહાનું કાઢ્યું…પણ પૈસાના ઉઘરાણા થતાં હોવાના આરોપ લાગ્યા છે.
રાજકોટમાં વધુ એક વિવાદે જન્મ લીધો છે… વોર્ડ નંબર ૧૩માં આવેલું મહાનગરપાલિકાનું સ્નાનઘર, જે મૂળ રૂપે માઠા પ્રસંગો માટે બનાવાયું હતું, તેને ભાજપના સ્થાનિક આગેવાને સીવણ ક્લાસમાં ફેરવી દીધું છે… આરોપ છે કે, ભાજપ આગેવાન ધર્મેશ જરીયાએ સ્થાનિક કોર્પોરેટરની મદદથી મનપાની આ મિલકત કબજે કરી, મહિલાઓ પાસેથી દર મહિને ૭૦૦ રૂપિયાની ઉઘરાણી શરૂ કરી છે.
આ સ્નાનઘર, જેનો હેતુ જાહેર સુવિધા પૂરી પાડવાનો હતો, તેને ખાનગી ઉપયોગમાં લેવામાં આવ્યું છે. ડેપ્યુટી કમિશનરે આ સીવણ ક્લાસ બંધ કરવાનો આદેશ આપ્યો હોવા છતાં, ભાજપના કાર્યકરોએ આ આદેશને અવગણ્યો હોય તેવું લાગે છે. આ ઘટનાએ શાસક પક્ષની કામગીરી અને જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે. સવાલ એ ઉભો થાય છે કે, શું શાસક પક્ષના કાર્યકરો અધિકારીઓના આદેશોને ગણકારતા નથી? શું મહાનગરપાલિકાની મિલકતોનો આ રીતે દુરુપયોગ ચાલુ રહેશે? આ મામલે કોંગ્રેસે પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે, જ્યારે સ્થાનિકો આગેવાનો સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. આ વિવાદનો અંત કેવી રીતે આવશે? શું ધર્મેશ જરીયા અને તેમની સાથે જાડાયેલા આગેવાનો સામે કાર્યવાહી થશે? રાજકોટ મહાનગરપાલિકા આ મામલે શું પગલાં લેશે?