ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં દિવંગત આત્માઓને રાજકોટમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

રાજકોટમાં ૨૫ મેના રોજ ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું અને તમામ
મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે પણ ઉપસ્થિત રહીને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મા ખોડલ તમામ આત્માઓને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી. ૧ જૂન-શનિવારે સવારે ૯-૩૦ કલાકે રાજકોટના શ્રી સરદાર પટેલ ભવન ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને ટ્રસ્ટની તમામ સમિતિઓ દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. જેમાં સૌએ ઉપસ્થિત રહીને
મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળ્યું હતું.
આ શ્રદ્ધાંજલિ સભામાં કન્વીનર ભાઈઓ-બહેનો, ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ લિગલ સમિતિ, ખોડલધામ શિક્ષણ પાંખ સહિતની વિવિધ સમિતિઓના કાર્યકરો, સામાજિક સંસ્થાઓના સભ્યો, સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો, સ્ટાફગણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.