વાંધાજનક નિવેદનના કેસમાં ફસાયેલા યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે રણવીર અલ્હાબાદિયાનો જપ્ત કરાયેલ પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલ્હાબાદિયાનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો. હવે આ આદેશ પછી તેમણે પાસપોર્ટ અલ્હાબાદિયા પરત કરવો પડશે.
સોમવારે કેસની સુનાવણી દરમિયાન, રાજ્ય સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને આસામમાં નોંધાયેલા કેસોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા, રણવીર અલ્હાબાદિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતાનો પાસપોર્ટ પરત કરવાની અપીલ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે તે એક અઠવાડિયા પછી પાસપોર્ટ અપીલ પર સુનાવણી કરશે.
છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે રણવીરને એક સૂચન પણ આપ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે રણવીર અલ્હાબાદિયાએ રિટ અરજી દાખલ કરવી જોઈએ. તમે જે રાહત મેળવવા માંગો છો તે રિટ પિટિશનમાં વધુ અસરકારક રીતે આપી શકાય છે.
રણવીર અલ્હાબાદિયા યુટ્યુબર અને કોમેડિયન સમય રૈનાના શો ‘ઈન્ડીયાઝ ગોટ લેટેન્ટ’માં મહેમાન તરીકે દેખાયો હતો. તે જ સમયે, તેમણે માતાપિતા વચ્ચેના સંબંધો પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. આ નિવેદન વાયરલ થતાં જ હોબાળો મચી ગયો અને રણવીર સામે દેશભરમાં ગુસ્સો જોવા મળ્યો. ઘણી જગ્યાએ પોલીસમાં ફરિયાદો પણ નોંધાવવામાં આવી હતી. આ ઉપરાંત, મહારાષ્ટ્ર અને આસામમાં પણ એફઆઇઆર નોંધવામાં આવી હતી.
મામલો વધુ વકરી રહ્યો જોઇને રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી. તેમણે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે તેમણે જે કહ્યું તે ન કહેવું જાઈતું હતું. સાથે જ તેમણે કહ્યું કે હું વચન આપું છું કે આવી ભૂલ ફરી ક્્યારેય નહીં થાય. આ મામલે રણવીર અલ્હાબાદિયાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, હવે તે પોડકાસ્ટની દુનિયામાં પાછો ફર્યો છે અને વિવિધ મહેમાનો સાથે ઇન્ટરવ્યુ લઈ રહ્યો છે.