દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે તબાહી સર્જાઈ રહી છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી યુપી સહિત ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. બિહારમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. અહીં પૂરના કારણે ૨૭૪ શાળાઓ બંધ કરવામાં આવી છે. ૨૦ શાળાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે. બુધવારથી પરીક્ષાઓ શરૂ થવાની હતી પરંતુ પૂરના કારણે પરીક્ષા હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે.
યુપીના ૨૪ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. અહીંના સેંકડો ગામો પૂરથી પ્રભાવિત છે. યુપીમાં ઘાઘરા, ગંડક, ગંગા, વરુણા નદીઓ ઉછળી રહી છે. ગોંડા જિલ્લાના ૩૫ ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. બીજી તરફ અયોધ્યામાં સરયૂ નદીમાં ઉછાળો જાવા મળી રહ્યો છે. લખીમપુર ખેરીના ઘણા ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. યુપીના લગભગ ૩૦૦ ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. પ્રયાગરાજ, ઇટાવા અને મિર્ઝાપુરમાં ૮મી સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ કાશીમાં ગંગા ખતરાના નિશાનની નજીક વહી રહી છે.
હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદને કારણે ૫૦ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થયો છે. હિમાચલમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં ૧૭૨ લોકોના મોત થયા છે, જ્યારે ૩૦ લોકો હજુ પણ લાપતા છે. ઝારખંડ અને બંગાળના અનેક જિલ્લા પૂરની ઝપેટમાં છે. ઓડિશાના ૨૫૦ ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે.
દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં પૂરના કારણે સ્થિતિ ખરાબ છે. અહીંના બેરેજ અને ડેમ પાણીથી ભરાઈ ગયા છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ યથાવત છે. દામોદર વેલી કોર્પોરેશનના બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે આગામી ૨-૩ દિવસ સુધી સ્થીતિ ખરાબ રહેવાની સંભાવના છે.
પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસાની શરૂઆત સાથે જ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ રહ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હવામાન વિભાગ દ્વારા પર્વતીય રાજ્યોના ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં, હિમાલયના ઊંચા શિખરો પર હિમવર્ષા ચાલુ છે અને નીચલા વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે હિમાચલના કાંગડા, ચંબા, કુલ્લુ અને મંડી જિલ્લામાં ૧૯ સપ્ટેમ્બરે વરસાદ સાથે વાવાઝોડાનું યલો એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં, કાનપુર અને આસપાસના જિલ્લાઓમાં વરસાદ દરમિયાન માટીના મકાનો અને વૃક્ષો પડવાની ઘટનાઓમાં ૧૦ લોકોના મોત થયા છે.