ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં દુર્ગા પૂજા પછી મૂર્તિઓનું વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર પથ્થરમારો અને એક યુવકના મોત બાદ સમગ્ર જિલ્લામાં તણાવનું વાતાવરણ છે. બીજી તરફ બાંગ્લાદેશમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટનાઓ પણ સામે આવી છે. આ ઘટના બાદ પોલીસ અને હિન્દુ સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણના અહેવાલો પણ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવ્યા બાદ હિંદુ સમુદાય વિરુદ્ધ હિંસાની અસંખ્ય ઘટનાઓ સામે આવી રહી છે.
હકીકતમાં, રવિવારે બાંગ્લાદેશના જૂના ઢાકા વિસ્તારમાં દુર્ગા પૂજાની સમાપ્તી પછી, હિન્દુ સમુદાયના સભ્યો મૂર્તિ વિસર્જન માટે જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન, પટુઆતુલી વિસ્તારમાં સ્થિત નૂર સુપર માર્કેટની છત પરથી તોફાની તત્વોએ બુધી ગંગા નદીમાં મૂર્તિ વિસર્જન માટે જતા લોકો પર ઇંટો ફેંકી હતી. આ ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે.
બાંગ્લાદેશી અખબાર ‘ધ ડેઇલી સ્ટાર’એ સોમવારે અહેવાલ આપ્યો હતો કે મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો બાદ હિન્દુ સમુદાયના લોકોએ નૂર સુપર માર્કેટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન હિન્દુ સમુદાયના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે સ્થાનિક લોકોએ બજારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. બજારની સલામતી માટે અમે તેમને ત્યાં પ્રવેશતા અટકાવ્યા હતા, જેના કારણે અથડામણ થઈ હતી. પોલીસ પરિસ્થિતીને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હતી જે બાદ સેનાને જાણ કરવામાં આવી હતી. આ પછી સૈનિકો ઘટનાસ્થળે પહોંચ્યા અને ભીડને વિખેરી નાખી. પોલીસે કહ્યું છે કે સ્થિતિ હવે મોટા ભાગે નિયંત્રણમાં છે.