એપ્રિલ ૨૦૨૫  માં છૂટક મોંઘવારીનો દર ઘટીને ૬ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો. ફુગાવાના મોરચે દેશના કરોડો સામાન્ય લોકો માટે આ રાહતના મોટા સમાચાર છે. શાકભાજી, ફળો અને અન્ય પ્રોટીનયુક્ત ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થવાને કારણે એપ્રિલમાં છૂટક ફુગાવો ઘટીને ૩.૧૬ ટકાના લગભગ છ વર્ષના તળિયે પહોંચી ગયો. મંગળવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, એપ્રિલમાં ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવાનો દર ૩.૧૬ ટકા હતો, જે જુલાઈ ૨૦૧૯ પછીનો સૌથી નીચો સ્તર છે.

જુલાઈ ૨૦૧૯ માં, તે ૩.૧૫ ટકા હતો. માર્ચ, ૨૦૨૫માં છૂટક મોંઘવારી ૩.૩૪ ટકા અને એપ્રિલ, ૨૦૨૪માં ૪.૮૩ ટકા હતો. ગયા મહિને ખાદ્ય ફુગાવાનો દર ૧.૭૮ ટકા હતો, જે એક વર્ષ પહેલાના સમાન મહિનામાં ૮.૭ ટકા હતો. માર્ચમાં ખાદ્ય ફુગાવો ૨.૬૯ ટકા હતો. હવે છૂટક ફુગાવો ભારતીય રિઝર્વ બેંકની સંતોષકારક શ્રેણીમાં રહે છે. સરકારે આરબીઆઇને ૨ ટકાના તફાવત સાથે ફુગાવાને ૪ ટકા પર જાળવવાની જવાબદારી સોંપી છે.

કિંમતની સ્થિરતિમાં સુધારો થયા પછી,આરબીઆઇએ બે વખત મુખ્ય વ્યાજ દરો (રેપો રેટ) માં કુલ ૦.૫૦ ટકાનો ઘટાડો કર્યો છે. ભારતીય રિઝર્વ બેંકે આ વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો, ત્યારબાદ એપ્રિલમાં પણ રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રીતે, ૨ મહિનાની અંદર રેપો રેટમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે પછી તે ૬.૫૦ ટકાથી ઘટીને ૬.૦૦ ટકા થઈ ગયો છે.

કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે છૂટક ફુગાવાનો દર ૪ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અનુસાર, છૂટક ફુગાવાનો દર પ્રથમ ક્વાર્ટરમાં ૩.૬ ટકા, બીજા ક્વાર્ટરમાં ૩.૯ ટકા, ત્રીજા ક્વાર્ટરમાં ૩.૮ ટકા અને ચોથા ક્વાર્ટરમાં ૪.૪ ટકા રહેવાની ધારણા છે.