સાવરકુંડલાના મેરીયાણા ગામે રહેતા એક પુરુષે તેની ભત્રીજીને ફોન કરવા મુદ્દે ઠપકો આપતાં તેના પર સાત લોકોએ હુમલો કર્યો હતો. ઉપરાંત મુંઢમાર માર્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અલ્પેશભાઈ મનસુખભાઈ ખતરાણી (ઉ.વ.૩૮)એ કુંભણ ગામના સુધીરભાઈ જસુભાઈ વાઘેલા, રાહુલભાઈ દેવશીભાઈ ડાભી સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સુધીરભાઈ વાઘેલા તેમની ભત્રીજીને ફોન કરતા હોઇ જે બાબતે તેમણે ઠપકો આપતા સારૂ નહોતું લાગ્યું. જેથી સાતેય આરોપીએ એકસંપ થઈ તેમના ગામ મેરીયાણાના ખેતીવાડી ગોડાઉન પાસે સમાધાનના બહાને બોલાવ્યા હતા. જે બાદ ફરિયાદી તથા સાહેદ જીતેન્દ્રભાઇને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો, તેમજ છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી.નાંદવા વધુ તપાસ કરી રહ્યા છે.