ટીમ ઇન્ડિયાના લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. યુઝવેન્દ્ર ચહલના જણાવ્યા મુજબ, તેણે એક સમયે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને બાથરૂમમાં રડતા જોયો હતો. યુઝવેન્દ્ર ચહલે ખુલાસો કર્યો છે કે તેણે માન્ચેસ્ટરમાં ૨૦૧૯ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ વિરાટ કોહલી અને લગભગ દરેક ભારતીય ખેલાડીને બાથરૂમમાં રડતા જાયા હતા. તમને જણાવી દઈએ કે ભારત ૨૦૧૯ વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું. આ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ પણ સાબિત થઈ.
યુઝવેન્દ્ર ચહલે એક પોડકાસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. ૨૦૧૯ના વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચમાં યુઝવેન્દ્ર ચહલનો પણ ભારતની પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. યુઝવેન્દ્ર ચહલે આ દરમિયાન કહ્યું, ‘૨૦૧૯ના વર્લ્ડ કપમાં મેં તેને (વિરાટ કોહલી) બાથરૂમમાં રડતો જોયો અને પછી હું છેલ્લો બેટ્સમેન હતો, જ્યારે હું તેને ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં આંસુ હતા. ૨૦૧૯માં મેં બધાને બાથરૂમમાં રડતા જોયા.’
યુઝવેન્દ્ર ચહલે પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીની કેપ્ટનશીપ વચ્ચેનો તફાવત જણાવ્યો છે. યુઝવેન્દ્ર ચહલે કહ્યું, ‘મને મેદાન પર રોહિત ભૈયાનું વર્તન ગમે છે. તે ખૂબ જ સારો કેપ્ટન છે. વિરાટ ભૈયા સાથે તે દરરોજ એક જ એનર્જી લઈને આવે છે. તે હંમેશા ઉપર જશે, ક્યારેય નીચે નહીં જાય. એ જ એનર્જી. દરરોજ.’
૨૦૧૯ના વર્લ્ડ કપ વિશે વધુ વાત કરતાં યુઝવેન્દ્ર ચહલે કહ્યું, ‘આ માહી ભાઈની છેલ્લી મેચ હતી. હું આ મેચમાં વધુ સારું પ્રદર્શન કરી શક્યો હોત. મને હજુ પણ તેનો અફસોસ છે. હું મારી જાતને થોડી વધુ પ્રેરણા આપી શક્યો હોત, થોડી સારી બોલિંગ કરી શક્યો હોત અને ૧૦-૧૫ રન ઓછા આપી શક્યો હોત, પરંતુ ક્યારેક તમે એવા પ્રવાહમાં હોવ છો, તે એટલું ઝડપથી થાય છે કે તમને વિચારવાનો સમય જ નથી મળતો. મને લાગ્યું કે જો હું શાંત હોત, તો હું વધુ સારું પ્રદર્શન કરી શક્યો હોત. મેં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, પરંતુ તે સેમિફાઇનલ હતી, એક મોટો તબક્કો હતો અને તમારે તમારું ૧૦-૧૫% વધારાનું આપવું પડશે.’












































