ગુજરાતના નક્શામાં છેવાડાના જિલ્લા તરીકે સ્થાન પામેલા જામનગરની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરેલી છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પ્રજાને મહત્વનો સંદેશ આપ્યો છે. આ સંદેશમાં તેમણે હિન્દુ-મુસ્લીમ એકતા વિશે મેસેજ આપ્યો છે. તેમણે સમાજમાં ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરી છે. સાથે જ પ્રજાવત્સલ રાજાએ સાંપ્રદાયિક તણાવ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે.
ભારતના કેટલાક ભાગોમાં અને વિશ્વના કેટલાક ભાગોમાં મુસ્લીમો અને હિંદુઓ વચ્ચે થઈ રહેલા દુષ્કૃત્યોથી હું સંપૂર્ણપણે ડરી ગયો છું. તેમ છતાં હું આ ભયંકર દુઃસાહસમાં ન પડવાનું પસંદ કરું છું, કારણ કે જામનગરના મુસ્લીમો મારા ભાઈઓ અને બહેનો છે જેઓ સિંધ અને કચ્છથી અમારી સાથે આવ્યા હતા અને હંમેશા મારા પરિવારને વફાદાર રહ્યા છે, અને હું તેમની સંભાળ રાખવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.
ગત વર્ષે જામસાહેબ શત્રુશલ્યસિંહે દશેરાની શુભેચ્છા સાથે નવા સમાચાર આપ્યા હતા. જેમાં રાજ પરિવારે મોટો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જામસાહેબ શત્રુશલ્યસિંહે જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાની જાહેરાત કરી છે. નોંધનિય છે કે, અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ ખેલાડી રહી ચૂક્યા છે. દશેરાની શુભેચ્છા પાઠવી પત્રથી વારસદારની જાહેરાત કરવામાં આવી હતી. જેથી હવે રાજવી પરિવારનો વારસો અજય જાડેજા સંભાળશે.
ગત વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા જામનગરમાં સભાને સંબોધતાં પહેલા પીએમ મોદીએ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. બાપુએ પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા.
જામ સાહેબ એ નવાનગરના શાસક રાજકુમારનું બિરુદ છે, જે હવે ગુજરાતમાં જામનગર છે. જામ સાહેબો રાજપૂતોના જામ જાડેજા કુળના હતા. અગાઉ નવાનગર તરીકે ઓળખાતું જામનગર નામ એ જ મૂળ પરથી ઉતરી આવ્યું હતું, જ્યારે જામ શબ્દનો અર્થ સરદાર અથવા રાજા થાય છે. વધુમાં, જામ રાવળજી નવાનગરના પ્રથમ, જામ સાહેબ હતા, ૧૫૪૦ માં, જ્યારે તેમણે હાલારના પ્રદેશમાં નવાનગરના નવા શહેરની સ્થાપના કરી હતી, જે તેમના દ્વારા જીતવામાં આવ્યું હતું અને તેમાં કચ્છમાંથી સ્થળાંતર કર્યા પછી ૯૯૯ ગામોનો સમાવેશ થાય છે.