બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ત્રિપલ હત્યાના બનાવથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ત્રણેય પીડિતો એક જ પરિવારના હતા. તેમના મૃતદેહ તેમના ઘરમાં તેમના પલંગ પરથી મળી આવ્યા હતા. આ ઘટના મુઝફ્ફરપુરના પાનાપુર કરિયાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાહબાઝપુર મઠ પાસે બની હતી. અહીં એક મહિલા અને તેના બે માસૂમ બાળકોની હત્યા કરવામાં આવી હતી.
મહિલા અને તેના બે બાળકોના મૃતદેહ તેમના રૂમમાં બેડ પર પડેલા મળી આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. મૃતકોની ઓળખ મીઠાઈ લાલ શાહની પત્ની રીટા દેવી (૩૦), પુત્રી વૈષ્ણવી (૨) અને ૩ મહિનાના પુત્ર કન્હૈયા તરીકે થઈ છે. એવું જાણવા મળ્યું છે કે મહિલાનો પતિ મીઠાઈ લાલ કેટરિંગમાં કામ કરે છે અને ઘટના સમયે તેના ભાઈ સાથે લગ્નમાં ગયો હતો.
મિઠાઈ લાલના જણાવ્યા અનુસાર, તે સવારે ૩ઃ૩૦ વાગ્યે ઘરે પાછો ફર્યો અને તેણે જાયું કે દરવાજા બહારથી બંધ હતો. તે દરવાજા ખોલવામાં સફળ રહ્યો અને અંદર તેની પત્ની અને બે બાળકોના મૃતદેહ જાઈને તે ચોંકી ગયો. ત્રણેય મૃતદેહ બેડ પર પડેલા હતા, અને નજીકમાં એક દોરડું મળી આવ્યું હતું. એવી શંકા છે કે ત્રણેયની એક જ દોરડાથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ ત્રિપલ હત્યા કેસમાં એક મહત્વપૂર્ણ પરિબળ એ હતું કે મીઠાઈ લાલના બે અન્ય બાળકો તેમની દાદી સાથે બીજા રૂમમાં સૂતા હતા, જેથી તેમનો જીવ બચી ગયો.
મારી પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીઓની જમીનના વિવાદમાં હત્યા કરવામાં આવી હતી. ગામના કેટલાક સંબંધીઓએ ત્રણેયની હત્યા કરી હતી. અગાઉ મારા પુત્રની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મૃતકની સાસુ ઉર્મિલા દેવીએ આરોપ લગાવ્યો છે કે ગામના કેટલાક સંબંધીઓએ જમીન વિવાદને કારણે આ ગુનો કર્યો હતો. તેણી કહે છે કે અગાઉ તેના પુત્રની હત્યાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેણીને સતત ધમકીઓ મળી રહી હતી. મીઠાઈ લાલે એમ પણ જણાવ્યું હતું કે સોમવારે બપોરે, તેને તેના આખા પરિવારને મારી નાખવાની ધમકીઓ મળી હતી, જેને તેણે ગંભીરતાથી લીધી ન હતી.
ઘટનાની માહિતી મળતાં, મુઝફ્ફરપુર પોલીસ ડીએસપી (પશ્ચિમ) સુચિત્રા કુમારી ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. તેણીએ જણાવ્યું કે મહિલા અને બે બાળકોની હત્યા કરવામાં આવી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે. પોલીસ હાલમાં દરેક પાસાની તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશે.