ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની મિલકતોની હરાજીની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મુંબઈની એક ખાસ કોર્ટે ચોક્સીની ૨,૫૬૫ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ વેચવાની મંજૂરી આપી છે. આ મિલકતોના વેચાણમાંથી મળેલી રકમ અસરગ્રસ્ત બેંકોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે રાખવામાં આવશે, જેથી પીડિતોને તેમના પૈસા પરત મળી શકે. અત્યાર સુધીમાં, ગીતાંજલિ જેમ્સ લિમિટેડની મિલકતોના વેચાણ દ્વારા પીડિતોને ૧૨૫ કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. આ મિલકતોમાં મુંબઈના સાંતાક્રુઝમાં સ્થિત છ ફ્લેટ, બે ફેક્ટરીઓ અને એક વેરહાઉસનો સમાવેશ થાય છે.

ભારતમાં જપ્ત કરાયેલી સંપત્તિઓ ઈડીએ ૨૦૧૮ માં ચોક્સી અને તેના જૂથની ૧,૨૧૭.૨ કરોડની ૪૧ મિલકતો જપ્ત કરી હતી. આમાં શામેલ છે. મુંબઈમાં ૧૫ ફ્લેટ અને ૧૭ ઓફિસ કોમ્પ્લેક્સ, કોલકાતામાં એક મોલ અલીબાગમાં ૪ એકરનું ફાર્મ હાઉસ, તમિલનાડુના નાસિક, નાગપુર, પનવેલ (મહારાષ્ટ્ર) અને વિલુપ્પુરમમાં ૨૩૧ એકર જમીન, હૈદરાબાદના રંગા રેડ્ડી જિલ્લામાં ૧૭૦ એકરનો પાર્ક, જેનો ખર્ચ ?૫૦૦ કરોડથી વધુ હોવાનો અંદાજ છે. મુંબઈના બોરીવલી (પૂર્વ) અને સાન્તાક્રુઝ (પૂર્વ) વિસ્તારોમાં ફ્લેટ, મુંબઈના સાંતાક્રુઝ ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનમાં બે ફેક્ટરીઓ અને વેરહાઉસ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

મેહુલ ચોક્સીની જપ્ત કરાયેલી મિલકતોમાં, મલબાર હિલ વિસ્તારમાં એક મિલકત પણ છે જે એક મુખ્ય સ્થાન પર છે. જેને ઈડી દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે.  તેની હરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગોકુલ એપાર્ટમેન્ટ મલબાર હિલ, ૯મા/૧૦મા માળે, જેમાં મેહુલ ચોક્સીનો ડુપ્લેક્સ ફ્લેટ છે. તેણે ૧૧મા માળે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે.

ફ્લેટના દરવાજા અને દિવાલો પર ઈડી,સીબીઆઇ, અલગ અલગ બેંકો,બીએમસી સોસાયટી અને વીજળી બિલની નોટિસ છે. આ ફ્લેટ લગભગ સાત હજાર ચોરસ ફૂટનો છે અને તેની કિંમત લગભગ ૭૦ કરોડ રૂપિયા છે જે હવે ખંડેર બની ગયો છે. ફ્લેટમાંથી વૃક્ષો અને છોડ ઉગી નીકળ્યા છે. જેના કારણે સોસાયટીના નીચેના ભાગ અને દિવાલોને નુકસાન થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર ૨૦૧૮ માં પીએનબીની બ્રેડી હાઉસ શાખામાંથી ૧૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ છે.