માહી ડેરી દ્વારા તા.૩૦ ના રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાંશીયાળી ગામની પ્રાથમિક શાળામાં કાર્યક્રમયોજવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત શાળાનાં ધોરણ પ થી ૮માં અભ્યાસ કરતા ૯૮ બાળકોને આહારમાં દૂધનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતું. બાળકોને દૂધનું બંધારણ સમજાવી તેમાંથી મળતા પોષક તત્વો અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, નિયમિત દૂધ પીવાથી થતા ફાયદા અંગે પણ બાળકોને માહિતી આપવામાં આવી હતી.
માહી ડેરી દ્વારા બાળકોને કોયડા, દોરડા ખેંચ વગેરે જેવી રમતો રમાડી તેના દ્વારા બાળકોને પરસ્પર સહકારની ભાવનાનું મહત્વ સુંદર રીતે સમજાવવામાં આવ્યુ હતું. આ ઉપરાંત, ભારત સરકાર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જીવનમાં સ્વચ્છતાના મહત્વ વિશે ઉંડાણપૂર્વક તલસ્પર્શી જાણકારી આપવામાં આવી હતી. માહી ડેરી દ્વારા જે બાળકોના માતા-પિતા દૂધનો વ્યવસાય કરે છે તેમના બાળકો પણ દૂધના વ્યવસાય સાથે જાડાયેલ રહે તે માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પ્લાસ્ટીકનો જીવનમાં વપરાશ ઘટાડવા સંદર્ભે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ બાળકોને ડેરી દ્વારા પ્રોત્સાહન ભેટરૂપે સ્કૂલબેગ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં માહી ડેરીના અમરેલી જિલ્લા ઈન્ચાર્જ ગૌરવ જાષી, સુરેશભાઈ મોરી, પ્રકાશ ગજેરા, પ્રકાશ સોલંકી, ઉર્વશીબેન કાથરોટીયા વગેરેએ ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રસંગે વાંશીયાળી શાળાના આચાર્ય ચેતનભાઈ ભીમાણી, માહી ડેરીના સહાયક રમેશભાઈ અને શિવરાજભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વાંશીયાળી પ્રાથમિક શાળાના શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.