(એ.આર.એલ),મુંબઇ,તા.૧૪
મુંબઈની વિશેષ અદાલતે ભાજપના પૂર્વ સાંસદ વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. બુધવારે, કોર્ટે ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ નવું જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. કોર્ટમાં હાજર ન થવા બદલ તેની સામે જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પ્રજ્ઞા ઠાકુર તબિયતને ટાંકીને કોર્ટમાં હાજર થઈ ન હતી.
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના કેસોની વિશેષ અદાલતે એક મહિનામાં પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ બીજું વોરંટ જારી કર્યું છે. આ પહેલા, કોર્ટે ૫ નવેમ્બરે તેના વિરુદ્ધ વોરંટી જારી કરી હતી, કારણ કે તેણી કોર્ટની કાર્યવાહીમાં હાજર રહી ન હતી. હવે તેને ૧૩ નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
પ્રજ્ઞા ઠાકુરના વકીલ જેપી મિશ્રાએ બુધવારે કોર્ટને જણાવ્યું કે, તેની ભોપાલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ કારણોસર તે કોર્ટમાં હાજર રહી શકતી નથી. વકીલે પ્રજ્ઞા ઠાકુરને લગતો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો.
આ પછી, ન્યાયાધીશે ફરીથી પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો અને પછી તેની વિરુદ્ધ નવું જામીનપાત્ર વોરંટ જારી કરવાનો નિર્દેશ આપ્યો. તેને ૨ ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનાવણી હવે અંતિમ તબક્કામાં છે અને કોર્ટે તમામ આરોપીઓને રોજની સુનાવણી માટે વારંવાર હાજર થવા જણાવ્યું છે.
તમને જણાવી દઈએ કે ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ માલેગાંવ શહેરમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત અને અન્ય પાંચ વિરૂદ્ધ બ્લાસ્ટના કાવતરામાં કથિત સંડોવણી બદલ ટ્રાયલ ચાલી રહી છે. આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ આરોપો નોંધવામાં આવ્યા છે. આ કેસની શરૂઆતમાં મહારાષ્ટ્રની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ વર્ષ ૨૦૧૧માં એનઆઇએએ તેની તપાસ શરૂ કરી હતી.