મહુવા માર્કેટિંગ યાર્ડની ગત નાણાકીય વર્ષમાં આવક રૂ. ૧૧.૧૧ કરોડ નોંધાઇ હતી, જે અત્યાર સુધીની સૌથી વિક્રમજનક આવક છે. ગત નાણાકીય વર્ષમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી સહિતની જણસોની આવક સારા પ્રમાણમાં રહેતા અને પ્રમાણસર ભાવ રહેતા આટલી માતબર આવક થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્કેટ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલના નેતૃત્વમાં સુશાસનના કારણે મહુવા યાર્ડની વિશ્વસનીયતા વધી છે અને સૌરાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો ડુંગળી વેચવા માટે આવે છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મગફળીના યાર્ડ તરીકે પણ ઊભરી આવતા આજુબાજુના તાલુકાઓમાંથી ખેડૂતો વેચાણ માટે આવી રહ્યા છે. ગત નાણાકીય વર્ષમાં યાર્ડમાં જણસીઓનું રૂ. ૧૬૦૦ કરોડથી વધુનું ટર્નઓવર થયું હતું, જેની નાણાકીય આવક રૂ. ૧૧.૧૧ કરોડ થતાં તેમાંથી ખર્ચ બાદ કરતા રૂ. પાંચ કરોડથી અધિકનો માતબર વધારો થયો હતો. તાજેતરમાં બજાર સમિતિ દ્વારા સ્વભંડોળમાંથી રૂ. ૧૫ કરોડથી વધુના ખર્ચે બાજુની ભળતી ૧૭ વિઘા જમીન ખરીદવામાં આવેલ છે, જ્યાં જણસીઓને કમોસમી વરસાદથી બચાવવા વિશાળ શેડ બનાવવાનું આયોજન છે. ઘનશ્યામભાઇ પટેલ રાજ્યની તમામ એપીએમસીના સંગઠન-ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન તરીકે પણ પદભાર સંભાળી રહ્યા છે.