સુપ્રીમ કોર્ટે સોમવારે મસ્જીદ સમિતિની અરજી પર સુનાવણી મુલતવી રાખી હતી, જેમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામે અપીલ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તેના આદેશમાં હિન્દુ અરજદારોને મથુરા કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદમાં કેન્દ્ર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને પક્ષકાર બનાવવાની મંજૂરી આપી હતી.

હાઈકોર્ટે ૫ માર્ચ, ૨૦૨૫ ના રોજ બંને દાવાઓમાં સુધારો કરવાની મંજૂરી આપી હતી અને અરજદારોને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને એએસઆઇને પક્ષકાર તરીકે રજૂ કરવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે શરૂઆતમાં કહ્યું હતું કે તેમને અરજીમાં સુધારો કરવામાં કંઈ ખોટું દેખાતું નથી અને સુધારેલી અરજી પર જવાબો દાખલ કરી શકાય છે. બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારનો સમાવેશ થતો હતો. જોકે, બેન્ચે મસ્જીદ સમિતિની અરજી પર સુનાવણી મુલતવી રાખી અને તેને અન્ય પેન્ડીંગ કેસો સાથે જોડી દીધી.

મસ્જીદ સમિતિએ ‘દેવતા ભગવાન શ્રી કૃષ્ણ લાલા વિરાજમાન’ અને ‘દેવ સ્થાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ’ અને અન્ય નવને પક્ષકાર બનાવ્યા. સમિતિએ જણાવ્યું હતું કે આ સુધારાએ મૂળ કેસની પ્રકૃતિને સંપૂર્ણપણે બદલી નાખી છે જેમાં હિન્દુ પક્ષના અરજદારોએ શાહી મસ્જીદ ઇદગાહ સ્થળને ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ હોવાનો દાવો કર્યો હતો. સમિતિએ એમ પણ કહ્યું કે વિવિધ અરજદારો દ્વારા વિવાદના સંદર્ભમાં પંદર અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં એકબીજા સામે સ્પર્ધાત્મક દાવા કરવામાં આવ્યા છે.સમિતિએ દલીલ કરી હતી કે હાઈકોર્ટનો આદેશ, દાવામાં સુધારાને મંજૂરી આપે છે, તે તેમની અગાઉની બચાવ દલીલોને નબળી પાડે છે અને અરજદારોને નવો કેસ બનાવવાની તક આપે છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુધારો કરતી વખતે, હાઇકોર્ટે ASI અને ગૃહ મંત્રાલયને કેસમાં જરૂરી હોવાનું સાબિત કર્યા વિના પક્ષકાર બનાવવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે ૪ એપ્રિલે મસ્જીદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અલગ અરજી પર નોટિસ જારી કરી હતી, જેમાં હિન્દુ પક્ષના તમામ કેસોને એક સાથે જોડવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામે અપીલ કરવામાં આવી હતી. ગયા વર્ષે ૨૩ ઓક્ટોબરના રોજ, અલ્હાબાદ હાઈકોર્ટે ૧૧ જાન્યુઆરીના આદેશને રદ કરવાની માંગ કરતી મસ્જીદ સમિતિની અરજીને ફગાવી દીધી હતી.

ગયા વર્ષે ૧૯ માર્ચે સર્વોચ્ચ અદાલતે મસ્જીદ સમિતિને આદેશ રદ કરવા માટે હાઈકોર્ટમાં પ્રથમ અપીલ કરવાનું કહ્યું હતું, ત્યારબાદ મસ્જીદ સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ વિવાદ મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમયની શાહી ઇદગાહ મસ્જીદ સાથે સંબંધિત છે, જેમાં હિન્દુ પક્ષનો દાવો છે કે આ મસ્જીદ ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર સ્થિત મંદિરને તોડીને બનાવવામાં આવી હતી.