મંડી જિલ્લાના ચૌહરઘાટીના બર્ધનમાં એક મારુતિ કાર ઊંડી ખાઈમાં પડી હતી. જેના કારણે કારમાં સવાર પાંચ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ પાંચેય જણ દુલ્હનને મુકીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ ભયંકર અકસ્માત શનિવારે મોડી રાત્રે થયો હતો. કારમાં સવાર તમામ યુવકો ધામચ્યાણ ગામના રહેવાસી છે. જે બારોટમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. મોડી રાત્રે ઘરે પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. જે અંગેની માહિતી રવિવારે સવારે મળી હતી.
જ્યારે એક ઘેટાંના પશુપાલકે એક કારને રસ્તાથી લગભગ ૭૦૦ મીટર નીચે ખાડામાં પડેલી જોઈ. આ અંગે આસપાસના ગ્રામજનોને જાણ કરી હતી. જે બાદ પંચાયતના પ્રતિનિધિઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટના અંગે તિક્કન પોલીસ ચોકીને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક લોકોની મદદથી વિકૃત મૃતદેહોને રસ્તા પર લઈ જવા માટે બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
મૃતકોની ઓળખ રાજેશ, ગંગુ, કર્ણ, સાગર અને અજય તરીકે થઈ છે. જેમાં એક ૧૬ વર્ષની આસપાસનો કિશોર અને અન્ય ચારની ઉંમર ૨૫ થી ૩૦ વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. આ દુઃખદ અકસ્માતને કારણે સમગ્ર ચૌહાર ઘાટીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જો કે, પોલીસ તમામ મૃતદેહોનો કબજા લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ જાગેન્દ્રનગર લાવશે. જ્યાં પંચનામા બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. એસપી મંડીએ જણાવ્યું કે પોલીસે કેસ નોંધી લીધો છે અને મૃતદેહોને બહાર કાઢવા માટે ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી છે. અકસ્માત પાછળના કારણોની તપાસ કરવામાં આવશે.