આવી વ્યક્તિઓએ પોતાના શરીર, મન, બુદ્ધિ, ચિત, આદીની શુદ્ધિ જાળવી રાખવી પડે. પોતાની જાતિગત શુદ્ધિ પણ જાળવવી પડે.
આવી શુદ્ધિ માટે આહારશુદ્ધિ જરૂરી છે. કારણ કે, આહારનો પ્રભાવ આ બધા ઉપર પડે છે. તેથી બ્રાહ્મણો શુદ્ધ સામગ્રી વડે પોતે જાતે જ રાંધેલું ખાય, અથવા પોતાના જેવી જ અન્ય વ્યક્તિએ બનાવેલું જમે એવો આચાર પાળવામાં આવતો હતો.
બીજા પ્રત્યે તિરસ્કાર નહીં પણ પોતાના માટે સંયમ એ એનો મૂળ મુદ્દો હતો. આજે આ પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. આજે અટકથી બ્રાહ્મણ હોય તે બધા બ્રાહ્મણે કરવાના કામો પણ કરતા નથી અને આચાર પણ ન હોવાને કારણે સંયમને પણ જીવનચર્યામાં સ્થાન નથી રહેતું. જે લોકો જન્મે બ્રાહ્મણ નથી પણ કર્મે બ્રાહ્મણ છે તેમને પણ આહારશુદ્ધિ જ્ઞાન હોતું નથી. આ પ્રશ્નને અસ્પૃશ્યતા, સગવડ, આધુનિકતા જેવી વાતો આગળ કરીને સમાજ સુધારકો, માનવતાવાદીઓ, ભણેલા અજ્ઞાનીઓ અને રાજકારણી લોકોએ એવો ગૂંચવી દીધો છે કે આહારશુદ્ધિની બાબત તદ્દન ઉપેક્ષિત થઈ ગઈ છે. કોઈના હાથનું ન ખાવું એ ગુનો ગણાવા લાગ્યો છે. તેથી આજકાલ આવા આચાર પળાતા નથી.
પહેલાના પરિવારોમાં રજસ્વલા સ્ત્રી ભોજનને કે પાણીને અડતી નહીં તેનું કારણ શું ? આજે એમાં કેમ પરિવર્તન કરવામાં આવ્યું છે?
રજસ્વલા સ્ત્રીને શારીરિક અને માનસિક આરામની ખૂબ જરૂર હોય છે, રસોઈનું કામ મહેનત અને હલનચલન માંગી લે તેવું છે. તેથી તેને ત્રણ દિવસ દરમિયાન રસોઈ કામમાંથી મુક્તિ મળે, શ્રમયુક્ત કામોમાંથી પણ મુક્તિ આપવામાં આવતી. એવી વ્યવસ્થા કરવામાં આવતી તેથી માત્ર રસોઈના કામમાંથી નહીં તો વાસણ સાફ કરવા, કપડાં ધોવા જેવા સંપૂર્ણ કામોમાંથી પણ મુક્તિ આપવામાંં આવતી. બીજું કારણ છે શુદ્ધિનું. રજસ્વલા અવસ્થા અત્યંત સંક્રામક અવસ્થા હોય છે, તેથી આ અવસ્થામાં જનસંસર્ગથી દૂર રહેવું જરૂરી છે. તેથી તેને જનસમૂહથી દૂર રહીને એકાંતવાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવતી. ત્રીજુ કારણ ભાવનાત્મક છે. રજસ્વલા અવસ્થાનો સંબંધ જનન અંગો અને જનન પ્રક્રિયા સાથે છે. જનન પ્રક્રિયા એ માત્ર શારીરિક પ્રક્રિયા હોતી નથી. ભાવાત્મક પણ હોય છે. આ દિવસોમાં ભાવાત્મક સ્થિતિ પણ નાજુક હોય છે તેથી પણ સ્ત્રીને જન સંસર્ગ ટાળવાનું કહેવામાં આવે છે. રજસ્વલા અવસ્થામાં દૂષિત રક્તનો સ્ત્રાવ થતો હોય છે, દૂષિત રક્તના બેક્ટેરિયા બીજે અસર ન કરે એ માટે પણ તેણે દૂર રહેવું હિતાવહ છે. રજસ્વલા સ્ત્રીએ રસોડે, પાણીયારે કે વ્યક્તિઓને ન અડવું એટલા જ માત્ર નિયમો નથી આ ઉપરાંત પણ ઘણા નિયમો આયુર્વેદમાં, ધર્મશાસ્ત્રમાં, કામસૂત્રમાં જણાવેલા છે. એ નિયમો ન પાળવાથી શું નુકસાન થઈ શકે એ પણ જણાવેલું છે તેથી આ આચાર પૂર્ણ પણે વૈજ્ઞાનિક છે. અંધશ્રદ્ધા કે પછાત પણ નથી. આજે આનાથી તદ્દન વિપરીત વ્યવહાર જોવા મળે છે તેનું કારણ અજ્ઞાન અને વિપરીત જ્ઞાન જ છે. આવા અજ્ઞાન અને વિપરીત જ્ઞાનને આધુનિકતા કહેવામાં આવે છે એ આપણી બુદ્ધિની બલિહારી છે.
ગ્રહણ સમયે રસોઈ બનાવવામાં આવતી નહોતી કે ભોજન કરવામાં પણ આવતું ન હોતું તેનું શું કારણ?
ગ્રહણ સમયે વાતાવરણ અત્યંત દુષિત થઈ જાય છે. મનુષ્યનું શરીર અને મન પ્રતિકારક શક્તિ ગુમાવે છે. જઠરરાગ્નિ મંદ પડે છે. તેથી શુદ્ધિ અને સ્વાસ્થ્યના આગ્રહી લોકોએ ગ્રહણનો વેધ લાગે ત્યારથી ગ્રહણ પૂરું થાય એટલે કે સૂર્ય કે ચંદ્રનો મોક્ષ થાય ત્યાં સુધી ભોજન બનાવવાનું કે કરવાનો નિષેધ કર્યો છે. કેટલાક વર્ષો પહેલાં તો મોટા શહેરોની હોટલો પણ આ નિયમ પાળતી. બધા જ અન્નનો નિકાલ કરી દેવો અને આખી હોટલ ધોવી એ સ્વાભાવિક ગણાતું. ઘરમાં પણ અથાણા, પાપડ વગેરેની બરણીઓ કે ડબા તદ્દન બંધ રાખવા, ખુલ્લી વસ્તુઓનો નિકાલ કરી દેવો એવી પ્રથા રહેતી. ગ્રહણ છૂટે પછી બધા સ્નાન કરે અને બધું ધોવે એવી વ્યવસ્થા હતી તે માટે નગરપાલિકા ગ્રહણ છુટવાના સમયે પાણી આપતી.
(ક્રમશઃ)