કંઈ પણ ઉપદેશ વગર નિરર્થક ભૂખ્યા રહેવાને પ્રમાણ કહેવાય ઉપવાસ નહીં.
– ખાવાનું ન મળતું હોય તેથી ભૂખ્યા રહેવું પડે એને પણ ઉપવાસ ન કહેવાય.
– રમવામાં, ફિલ્મ જોવામાં, કામ કરવામાં ભૂખનું ભાન ન રહે અને જમ્યા વગરના રહે એને પણ ઉપવાસ ન કહેવાય. નક્કી કરીને વ્રતપૂર્વક નિરાહાર રહેવાને જ ઉપવાસ કહેવાય.
· દાળ શાક ફરસાણમાં કઈ વસ્તુ ખટાશ તરીકે વાપરવી યોગ્ય ગણાય?
– કોકમ, આમલી, આંબોળિયા, લીંબુ, ભીંડી, પાઉડર, એસ્કોરબિક એસિડ, સાઈટ્રિક એસિડ, આંબળા, કાચા ટામેટા, દહીં, છાશ વગેરે અનેક પદાર્થો ખટાશ તરીકે ઓળખાય છે. તે પૈકી કોકમ ઉત્તમ છે. લીંબુ પણ ઉત્તમ છે પરંતુ એને ગરમ કરી શકાય નહીં થાળીમાં લીધેલા તૈયાર પદાર્થ ઉપર નીચોવવું જોઈએ.
– એસ્કોબિક એસિડ લીંબુના જ ગુણ ધરાવે છે તેથી તે વાપરી શકાય. આમળા ખાટા હોય છે પરંતુ તે દરેક જગ્યાએ ખટાશમાં વપરાતા નથી. તે પૈકી સાઈટ્રિક એસિડ અવગુણ કરે છે તેથી તેને ટાળવું જોઈએ. દહીં પણ ગરમ કરી શકાય નહીં. છાશ ગરમ કરી શકાય છે પણ એકલી નહીં એની સાથે લોટ અથવા અન્ય પદાર્થ ભેળવવો પડે નહીં તો એ ફાટી જાય છે. કાચા ટામેટા ટાળવા જોઈએ. ભીંડી પાવડર ગુણકારી છે. આમલી, આંબોળિયા પ્રમાણસર વાપરવા જોઈએ. જુદા જુદા પ્રદેશમાં, જુદી જુદી ઋતુમાં, જુદા જુદા પદાર્થો સાથે, જુદી જુદી પ્રકૃતિના લોકો માટે જુદી જુદી રીતે જુદી જુદી ખટાશ વાપરી શકાય છે. આ બધું શાસ્ત્રની મદદથી પણ જાણી શકાય અને વડીલો પાસેથી પણ જાણી શકાય. આ બધું જાણી લેવું એ કુશળ ગૃહિણી માટે આવશ્યક છે.
· ખોરાક વાસી ક્યારે ગણાય?
– સામાન્ય રીતે ખોરાક રાંધ્યા પછી ચાર કલાક વીતે એટલે વાસી થવાની શરૂઆત થાય છે. પદાર્થમાં પાણીનો અંશ કેટલો છે તેના ઉપર તેના વાસી ગણવાના સમયનો આધાર રહેલો છે. જેમ પાણીનો અંશ વધારે તેમ એ જલ્દી વાસી ગણાય. ખાખરા, ફરસાણ વગેરે દસ પંદર દિવસ પછી વાસી ગણાવા લાગે. જ્યારે અથાણા, મુરબ્બો વગેરે આખું વરસ રહે તો પણ વાસી ન ગણાય, જેમ સમય જાય તેમ વધુ ગુણકારી ગણાય છે. આમ જુદી-જુદી રીતે બનેલા પદાર્થોને વાસી ગણવાની મુદત જુદી જુદી હોય છે. આપણા રોજના દાળ, ભાત, શાક, રોટલી ભોજનનો વિચાર કરીએ તો એને ચાર કલાકની મુદત લાગુ પડે છે.
· જમ્યા પછી પાન ખાવું જોઈએ કે નહીં?
– જમ્યા પછી પાન ખાવું જોઈએ. તેનાથી મુખશુદ્ધિ થાય છે. મોમાં, ગળામાં રહેલ કફ દૂર થાય છે. પાચનક્રિયામાં તાંબુલ ભક્ષણ મદદરૂપ થાય છે.
· કેટલાક લોકો સોપારી ખાતા નથી તેનું શું કારણ?
-કેટલાક લોકોની માન્યતા હોય છે કે સોપારીથી લોહી પાતળું બને છે, કેટલાક લોકો સોપારીને કેફી દ્રવ્ય ગણાવે છે પરંતુ જમ્યા પછી પાન અને સોપારી ખાવાથી મુખશુદ્ધિ થાય છે. યોગ્ય પ્રમાણમાં સોપારી કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે અથવા વધવા દેતી નથી.
– પરંતુ પાન અને સોપારી વધુ માત્રામાં ન ખાવા જોઈએ. બપોરે ભોજન કર્યા પછી જ તેની આવશ્યકતા હોય છે. જ્યારે ને ત્યારે પાન સોપારી ખાવા યોગ્ય નથી. જ્યારે ને ત્યારે પાન સોપારી ખાવાથી સ્વાસ્થ્યને તો કશો લાભ થતો નથી ઉલટાનું રંગીલાપણું આવે છે. આ એનો મન ઉપર થતો પ્રભાવ છે.
કાંદા લસણ ખાવામાં શું નુકસાન છે?
– લસણની જુદા જુદા રોગોના સંદર્ભમાં અને સામાન્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિથી આયુર્વેદે ઘણી પ્રશંસા કરી છે અને તેના અનેક ગુણો ગણાવ્યા છે. પરંતુ આ બંને રજોગુણ અને તમોગુણ વધારનારા છે. તેથી બેઠાડું વ્યવસાય કરનારા, બુદ્ધિનો ઉપયોગ કરનારા, અધ્યયન અને જ્ઞાન સાધના કરનારા લોકો માટે એનો નિષેધ કરવામાં આવે છે.
શારીરિક શ્રમ કરનારા લોકો માટે કાંદાનો ઉપયોગ કરવો હિતકારક ગણાય પરંતુ જેમાં પરસેવો પડે છે એને શારીરિક શ્રમ ગણાય.
વર્તમાન જીવનશૈલી જેમાં સહુ શરીરને બચાવવાનો જ પ્રયત્ન કરે છે, સામાન્ય ઠંડી ગરમી પણ સહન કરવાની જેની તૈયારી નથી, બૌદ્ધિક શ્રમ પણ કરતા નથી કેવળ યંત્રોની સહાયથી કામ કરે છે, વાહનોથી આવ-જા કરે છે, એસી પંખા ફ્રીજ કુલર વગેરેમાં રક્ષણ શોધે છે તેમને માટે કાંદા લસણ હાનિકારક જ પુરવાર થાય એમ છે.