ભાવનગરમાં સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી ગુમ થયેલી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતી બે દિવસથી ગુમ હોવાનું સામે આવ્યું છે. તળાવના કાંઠેથી યુવતીની ચુંદડી મળી આવી છે. ફાયર વિભાગની ટીમે તળાવમાં શોધખોળ કરી છે. યુવતીનું નામ કાજલ બારૈયા છે. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં એવું તારણ નીકળ્યું છે કે યુવતીએ ગૌતમેશ્વર તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. યુવતી બે દિવસથી ગુમ હોવાના કારણે કુટુંબીઓ તેની શોધખોળ કરી રહ્યા હતા. છેવટે તળાવની સપાટી પર તેનો તરતો મૃતદેહ જાતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. યુવતીની આત્મહત્યાના સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં સિહોરમાં ગમગીની છવાઈ ગઈ હતી.યુવતીનો મૃતદેહ મળવાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાકીદે દોડી આવી હતી. ગૌતમેશ્વર તળાવ ખાતે ફાયરબ્રિગેડના જવાનોએ યુવતીના મૃતદેહને તળાવમાંથી કાઢ્યો હતો. તેના પછી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને અન્ય કાયદાકીય કાર્યવાહી માટે સ્થાનિક સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં યુવતીના પરિવારજનો પણ તળાવે દોડી આવ્યા હતા. તેમના આક્રંદથી વાતાવરણ કરુણ બની ગયું હતું. યુવતીએ કયા કારણસર આટલું ગંભીર પગલું લીધું તે જાણી શકાયું નથી.યુવતીની આત્મહત્યાના બનાવ અંગે સિહોર પોલીસે હાલમાં તો સુસાઇડ નોટ મળી ન હોવાથી અકસ્માત મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હવે યુવતીના  મૃત્યુનું કારણ જાણવા તેના કુટુંબીઓ, મિત્રો અને સગાસંબંધીઓના નિવેદનો લેશે. પોલીસે યુવતીની આત્મહત્યાનું કારણ શોધી લેવાશે તેમ જણાવ્યું છે.