ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદનમોહનદાસજી બાપાએ ૧૧૫ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમનું નિધન થતા સમગ્ર ભાવનગરમાં અને ભક્તજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. શ્રી મદનમોહનદાસ બાપુ શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર એવા ગોળીબાર હનુમાનજી મંદિરના વર્ષોથી મહંત રહ્યા હતા. તેમણે અહી ૬૨ વર્ષથી વધુ સમય સેવા બજાવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં મદનમોહનદાસ બાપુ ખુબજ બોહળો ભક્ત સમુદાય ધરાવતા હતા. આજે સવારે ૭ થી ૧૦ કલાક સુધી તેમના પાર્થિવદેહને ભક્તજનોના દર્શન માટે રાખવામાં આવ્યો હતો.
ગૌ સેવામાં ભૂખ્યાને ભોજન અને સદાવ્રતના કારણે મંદિર ગુજરાત અને દેશભરમાં જાણીતું બન્યું છે. ગોળીબાર મંદિરના મહંત તરીકે મદનમોહનદાસજી બાપા હનુમાનજી મહારાજની ૬૨ વર્ષથી વધુ સમયથી સેવા કરતા હતા. બાપાની ઉમર ૧૧૫ વર્ષથી વધુની થઈ હોવાથી નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ સક્રિય હતા. નાની દેરીમાંથી વિશાળ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ મહંત મદનમોહનદાસજી બાપાની મહેનતથી થયું હતું.
મહંત મદનમોહનદાસજી બાપા છેલ્લા ૬૦ વર્ષથી શહેરમાં જુદી જુદી જગ્યાએ રહેતા લોકોને દરરોજ સાંજે ભોજન માટે હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે અન્ન ક્ષેત્રની સેવા આપી રહ્યા હતા. આ મંદિરમાં રોજ સવારે જરૂરિયાતવાળા લોકોને છાશનું પણ વિતરણ કરવામાં આવે છે. મદનમોહનદાસજી બાપા માત્ર ગરીબોના બેલી નહિ પણ હિન્દૂ ધર્મની માતા ગાયો માટે મસીહા હતા. મદનમોહનદાસ બાપા દ્વારા ભૂકંપ હોય કે વાવાઝોડું કે અન્ય આફતોના સમયે ખાસ ભોજનની વ્યવસ્થા કરતા હતા.
ભાવનગરના ગોળીબાર હનુમાનજી મંદિરનો ઇતિહાસ અને રજવાડુ આઝાદી પહેલાનું ગોહિલવાડ રાજ્યની ભૂમિનું છે. ગોહિલવાડની ભૂમિ એટલે સઁતોની ભૂમિ તરીકે ઓળખાય છે. ગોહિલવાડના રાજ્યમાં ભાવનગર શહેર અસ્તીત્વમાં આવ્યું અને વિકાસ પામતા ગોળીબાર દાદા શહેરની વચ્ચે સ્થાપિત થઈ ગયા. રજવાડા સમયમાં શહેરની છેવાડે એક મેદાન આવેલું હતું. જેને જવાહરમેદાન તેમજ ગધેડિયા ફિલ્ડ પણ કહેવામાં આવતું હતું. જવાહર મેદાનની જગ્યા ખરેખરમાં દેશના રક્ષા મંત્રાલયની છે. આથી આર્મીના જવાનોની જગ્યા ખરેખરમાં કહેવાય છે. શહેરના વઘાવાડી રોડથી, રૂપાણી સર્કલની એકદમ ચાર ડગલાં અને ઘોઘા સર્કલથી બે મિનિટના અંતમાં ગોળીબાર દાદા બિરાજમાન છે.