ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ગઈકાલે મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર કળણમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે અનેક ગામોમાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને રોજિંદા જીવન પર ગંભીર અસર પડી છે.ભારે વરસાદને પગલે ઉના તાલુકાના ત્રણ મુખ્ય ગામો સંખડા,ખત્રીવાડા અને સુલતાનપુરાના સંપર્કો સંપૂર્ણપણે કપાઈ ગયા છે. રાત્રિ દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. ખત્રીવાડા ગામમાં રાવલ, રૂપેણ અને માલણ જેવી મુખ્ય નદીઓ છલકાઈ ગઈ છે. નદીઓ છલકાઈ રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરો ડૂબી ગયા છે. ગામડાઓમાં વાહનવ્યવહાર ખોરવાઈ જવાથી રહેવાસીઓની સમસ્યાઓ વધી ગઈ છે. ગ્રામજનોને પોતાના જીવનું જાખમ લઈને ટ્રેક્ટરમાં ગામડાઓ વચ્ચે મુસાફરી કરવાની ફરજ પડી રહી છે, જે સલામતી માટે મોટો ખતરો છે.કમોસમી વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો ભયાનક સ્થિતિમાં મુકાયા છે. વહેતી નદીઓ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ઉભા પાકનો નાશ થયો છે. આ પૂરના કારણે ખેડૂતોની મહેનત બરબાદ થઈ ગઈ છે અને તેઓ આર્થિક સંકટમાં ધકેલાઈ ગયા છે. સ્થાનિક રહેવાસીઓ માંગ કરી રહ્યા છે કે વહીવટીતંત્ર આ સંપર્ક કપાયેલા ગામોમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરે, નુકસાનનો સર્વે કરે અને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપે.










































