કોલકતામાં મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાની ઘટના બાદ દેશભરમાં ફેલાયેલા જનાક્રોશ વચ્ચે એવો ચોંકાવનારો આંકડાકીય રીપોર્ટ જાહેર થયો છે કે ભારતમાં બળાત્કારનાં ૧૦ માંથી ૭ કેસોમાં આરોપી ઓને કોઈ સજા થતી નથી.
ભારતમાં ૨૦૨૨ માં બળાત્કારનાં ૩૨૦૦૦ કેસ નોંધાયા હતા. ૧૩૦૦૦ જુના કેસ પેન્ડીંગ હતા એટલે પોલીસને આવા ૪૫૦૦૦ કેસોની તપાસ કરવાનો પડકાર હતો. આરોપીઓને સજા કરવાને લાગેવળગે છે ત્યાં સુધી આખા વર્ષમાં ૪૫૦૦૦ માંથી માત્ર ૨૬૦૦૦ કેસોમાં આરોપનામા (ચાર્જશીટ) દાખલ થયા હતા. જે ટકાવારીની દ્રષ્ટિએ ૬૦ ટકાથી પણ ઓછા હતા. ૨૦૨૨ માં જ નોંધાયેલા તમામ કેસોમાં પણ ચાર્જશીટ થઈ શકયા ન હતા. માત્ર બળાત્કાર જ નહિં, મહિલાઓ સામે અત્યાચારના જુદા જુદા ૧૧ પ્રકારના કેસોમાં પણ સમાન હાલત હતી.
બળાત્કાર જેવા જધન્ય અપરાધ છતાં ચાર્જશીટ ન થવા કે આરોપી છુટી જવા મામલે પોલીસની ઢીલી નબળી તપાસને જવાબદાર ગણવામાં આવે છે.બે લાખ કેસો ટ્રાયલ પર હતા તેમાંથી માત્ર ૧૮૦૦૦ કેસો જ ટ્રાયલ પૂર્ણ થઈ શકી હતી.
ભારતમાં ૧૫૦૦ માંથી દર એક મહિલા કોઈને કોઈ ગુન્હાહીત અત્યાચારનો ભોગ બને છે ભારતમાં મહિલાઓની વસતીના ધોરણે દર એક લાખે ૬૬.૪ મહિલાઓ અત્યાચારનો ભોગ બને છે.જોકે નહીં નોંધાતા ગુનાની સંખ્યા ઘણી વધારે હોવાનું અનુમાન છે. મહિલાઓ માટે અસુરક્ષીતની શ્રેણીમાં ગણાતા પાટનગર દિલ્હીમાં ૨૦૨૨ માં દર એક લાખે ૧૫૦ મહિલાઓ પર અત્યાચારનાં કેસ દાખલ થયા હતા. અર્થાત ૭૦૦ માંથી એક મહિલા અત્યાચારનો ભોગ બની હતી અને દેશભરમાં આ પ્રમાણ સૌથી વધુ છે. કેન્દ્ર શાસીત પ્રદેશો તથા પૂર્વોતર રાજયોમાં મહિલાઓ સૌથી સુરક્ષીત હોય તેમ આ ક્ષેત્રોમાં મહિલાઓ પરના અત્યાચારનાં કેસો સૌથી ઓછા છે.
અભ્યાસમાં એવુ મહત્વનું તારણ બહાર આવ્યું છે કે ગુના આચરતા આરોપીઓને સજા કરતા પકડાઈ જવાનો ડર સૌથી વધુ હોય છે. ભારતને લાગેવળગે છે ત્યા સુધી આરોપી પકડાઈ ગયા પછી પણ કાનુની પ્રક્રિયામાં લાંબો સમય નિકળી જતો હોવાને કારણે તેના છુટી જવાની ટકાવારી વધુ છે. આ દરમ્યાન પુરાવા સાથે ચેડા થઈ જાય છે. સાક્ષીઓ હોસ્ટાઈલ થાય છે. ફરીયાદી પર સામાજીક દબાણ ઉભુ થાય છે.૨૦૨૨ માં મહિલાઓ પર અત્યાચારનાં કુલ ૪.૫ લાખ કેસ નોંધાયા હતા. જેનો અર્થ એવો થાય છે કે દર એક કલાકે ૫૦ થી વધુ મહિલા અત્યાચારનો ભોગ બને છે. ભારતની સામાજીક નીતિરીતિમાં તમામ કેસો જાહેર થતા નથી છેલ્લા વર્ષોમાં જાગૃતિ વધી હોવા છતાં તમામ કેસો બહાર આવતા નથી.