માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ અને માલદીવના પ્રથમ મહિલા સાજીદા મોહમ્મદ તેમની પ્રથમ દ્વિપક્ષીય ભારત મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર મુઈજ્જુને મળ્યા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે માલદીવના રાષ્ટ્રપતિની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. મુઈજ્જુ સાથેની તેમની મુલાકાત દરમિયાન જયશંકરે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની વાતચીત બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવશે. મુઈજ્જુ સાથે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરતા જયશંકરે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુને તેમની ભારતની સત્તાવાર મુલાકાતે આવકારતા ખૂબ જ ખુશ છે. તેમણે એમ પણ કહ્યું કે માલદીવ ક્યારેય એવો નિર્ણય લેશે નહીં જેનાથી ભારત નબળું પડે, તેની સુરક્ષા જાખમાય અથવા બંને દેશોના સંબંધો બગડે. વાસ્તવમાં, જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હાલમાં માલદીવ અને ચીન વચ્ચેના સંબંધો ઘણા સારા છે, તો ભારત વિશ્વાસ કરી શકે છે કે માલદીવ ક્યારેય એવું કંઈ નહીં કરે જેનાથી ભારતની સુરક્ષા નબળી પડે. તેના પર રાષ્ટ્રપતિ મુઈજ્જુ એ કહ્યું કે ભારત અમારું મહત્વપૂર્ણ ભાગીદાર છે. બંને દેશો સારા મિત્રો પણ છે અને બંને દેશો વચ્ચેના સંબંધો મહત્વપૂર્ણ હિતો સાથે જાડાયેલા છે. માલદીવનો કોઈપણ નિર્ણય ભારતની સુરક્ષાને અસર કરશે નહીં. તે જ સમયે, કોઈપણ દેશ સાથે અમારી વાતચીતથી ભારત સાથેના અમારા સંબંધો નબળા નહીં પડે. રાષ્ટ્રપતિ મુઈજ્જુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ બેઠક કરશે. દિલ્હી પહોંચતા વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું. મુઈજ્જુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સત્તાવાર આમંત્રણ પર ૬-૧૦ ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાતે છે. મુઈજ્જુની આ બીજી ભારત મુલાકાત છે. ભારત સાથેના સંબંધોમાં તાજેતરના ખટાશ પછી, મુઈજ્જુએ સમાધાનકારી વલણ અપ્નાવ્યું છે. તેમણે આર્થિક મદદ માટે ભારતનો આભાર માન્યો હતો.