પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતના દબાણ હેઠળ, પાકિસ્તાને બોર્ડર સિક્્યુરિટી ફોર્સ (બીએસએફ) ના જવાન પૂર્ણમ કુમાર સાહુને કસ્ટડીમાંથી મુક્ત કર્યા છે. તમને જણાવી દઈએ કે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો, ત્યારે ૨૩ એપ્રિલે પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાની રેન્જર્સે આંતરરાષ્ટ્રીય સરહદ પરથી કસ્ટડીમાં લીધો હતો. ત્યારથી, તેને પાછા લાવવાની માંગ થઈ રહી હતી. આજે, ૧૪ મેના રોજ, તે લગભગ ૨૦ દિવસ પછી પાછો ફર્યો છે.
બીએસએફ જવાન પૂર્ણમ કુમાર સાહુ ૨૩ એપ્રિલ, ૨૦૨૫ થી પાકિસ્તાન રેન્જર્સની કસ્ટડીમાં હતો. મળતી માહિતી મુજબ, આજે બુધવારે સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યે અમૃતસરની જાઈન્ટ ચેક પોસ્ટ અટારી દ્વારા સાહુને ભારતને સોંપવામાં આવ્યો છે. બીએસએફના પ્રવક્તાએ માહિતી આપી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ટ્રાન્સફર શાંતિપૂર્ણ રીતે અને સ્થાપિત પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું છે.
વાસ્તવમાં, બીએસએફ કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સાહુ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં પોસ્ટેડ હતા. ૨૩ એપ્રિલના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવના શરૂઆતના દિવસોમાં, પૂર્ણમે ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી દીધી. આ પછી, તેને પાકિસ્તાની રેન્જર્સે કસ્ટડીમાં લઈ લીધો.
ભારતીય સુરક્ષા દળોએ ૩ મેના રોજ રાજસ્થાનમાં એક પાકિસ્તાની રેન્જર્સ સૈનિકની પણ ધરપકડ કરી હતી. BSF એ શ્રીગંગાનગરમાં સરહદ નજીક આ ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, પાકિસ્તાની રેન્જર્સનો સૈનિક ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ બીએસએફના સૈનિકોએ તેને રોકયો અને કસ્ટડીમાં લઈ લીધો.