આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મંગળવારે બીજેપી કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં પાર્ટીના પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય એકમના વડા બાબુલાલ મરાંડી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા, કેન્દ્રીય પ્રધાનો અન્નપૂર્ણા દેવી અને સંજય સેઠ સહિત ઝારખંડના કોર જૂથના નેતાઓએ હાજરી આપી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા, ઝારખંડમાં પાર્ટીના ચૂંટણી સહ-પ્રભારી પણ દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં આયોજિત બેઠકમાં હાજર હતા. બેઠક પૂરી થયા બાદ બાબુલાલ મરાંડીએ પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે બેઠકમાં તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
તે જ સમયે, આસામના સીએમ શર્માએ પત્રકારોને કહ્યું, અમે ઝારખંડમાં લોકસભા ચૂંટણીમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ મેળવી છે. આનાથી અમારી ટીમમાં આત્મવિશ્વાસ વધ્યો છે. અમે રાજ્યમાં અમારી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું, આ માટે બધાએ સાથે મળીને કામ  કરવું પડશે અને પાર્ટીની રણનીતિ પ્રમાણે આગળ વધવું પડશે. તેમણે કહ્યું કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ ઝારખંડની મુલાકાત લેશે.
ભાજપના ઉમેદવાર સીતા સોરેન મુર્મુએ લોકસભા ચૂંટણીમાં દુમકા સીટ પરની હાર માટે પાર્ટીના નેતાઓને દોષી ઠેરવવા વિશે પૂછવામાં આવતા સરમાએ કહ્યું કે, તે બહુ ઓછા માર્જિનથી ચૂંટણી હારી ગઈ છે. અમે આનાથી દુઃખી છીએ. ભવિષ્યમાં અમે આ બેઠક જીતીએ તે માટે અમે પ્રયાસો કરીશું. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (દ્ગડ્ઢછ)ની રાજ્યની નવ લોકસભા બેઠકો પર નોંધપાત્ર માર્જિનથી જીતનો શ્રેય ભાજપની ઝારખંડ ટીમને આપવો જાઈએ.