ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની જોગવાઇઓ અંતર્ગત અમરેલી શહેર હદ વિસ્તારમાં આવેલી સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી, ખાનગી, સ્લમ તથા અન્ય ક્વાર્ટર તથા મકાન કે ઇમારત સહિતના તમામ પ્રકારની ઇમારતોમાં રહેતાં હોય કે તેનો ઉપયોગ કરતા હોય કે હિત ધરાવતા હોય તેવી તમામ વ્યક્તિઓએ, કાયદાને આધીન રહી પોતાના મકાનનો ભયજનક ભાગ, જર્જરિત ભાગ તાકીદે ઉતારી લેવાની ચેતવણી નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જર્જરિત ભાગ ઉતારીને બાકીના ભાગને સુરક્ષિત કરવાની કાર્યવાહી કરવાની રહેશે. અન્યથા મકાન કે તેનો ભયજનક ભાગ, જર્જરિત ભાગ પડી જવાથી તે મિલ્કત કે આસપાસની મિલ્કતને કે જાનમાલને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આવા મકાન, ઇમારતના માલિક, કબ્જેદારો, હિત ધરાવતા તમામ વ્યક્તિઓની રહેશે, જેની ગંભીર નોંધ લેવી. આ વિશે અમરેલી નગરપાલિકા દ્વારા અગાઉ પણ નોટિસ પણ આપવામાં આવી હોય સંબંધિત વ્યક્તિઓએ આ અંગે કાર્યવાહી કર્યાનું ધ્યાને આવ્યું નથી. આથી, હિત ધરાવનાર સંબંધિત તમામ કબ્જેદારોને આપવામાં આવેલી નોટિસ અન્વયેની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવી, તાકીદની જાહેર ચેતવણીને ધ્યાને લેવી તેમ અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.