(એ.આર.એલ),અમદાવાદ,તા.૧૫
અમદાવાદના બોપલ વિસ્તારમાં મોડી રાત્રે માઈકા વિદ્યાર્થી પ્રિયાંશુ આરોપી વિરેન્દ્ર પઢેરીયાને બોપલ પોલીસે શુક્રવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વધુ રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. ૧૦ જેટલા અલગ અલગ મહત્વના મુદ્દે સરકારી વકીલ તુષાર બારોટ દ્વારા રજૂઆત કરાઈ હતી કે આરોપીના કોલ ડિટેઇલ મેળવી તે અંગે તપાસ શરૂ કરવાની છે. ઉપરાંત આરોપી જે રૂટથી અમદાવાદથી પંજાબ ગયો તે રૂટ પર પંજાબ સુધી જઈ પોલીસ તપાસ કરશે.
પ્રિયાંશુની હત્યા કરવાના આરોપસર ઝડપાયેલ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરીયા (ઉં.વ.૩૭) ને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, “આરોપી છેલ્લા ૧૫ વર્ષથી પોલીસ વિભાગમાં નોકરી કરતો હોવાથી તે પોલીસની તમામ કાર્યવાહીથી વાકેફ છે અને ખુબ જ બનેલો છે તેથી તે તપાસમાં સહકાર આપી રહ્યો નથી, આરોપી સામે અગાઉ બાવળા પોલીસ મથકમાં પણ ઠગાઇ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઇ છે તેથી તે ગુનો કરવા ટેવાયેલ છે, આરોપીએ હત્યા કરવામાં જે છરી વાપરી તે તેણે તે સમયે પહેરેલા કપડાં કબજે કરવા આરોપીની કસ્ટડીની જરૂર છે, આરોપી હત્યા કરી પંજાબ પલાયન થઇ ગયો હતો તો તે રસ્તામાં કઇ કઇ જગ્યાએ રોકાયો હતો અને પંજાબમાં તેને કોણે આશ્રય આપ્યો તે અંગે તપાસ કરવા પંજાબ જવું જરૂરી છે.”
“આરોપી સાથે ગુનામાં અન્ય કોઇની સંડોવણી છે કે નહીં, આ ઘટનામાં બે છરી હોવાનું સામે આવ્યું છે પરંતુ આરોપી એક જ છરીનું કહે છે તેથી તે મુદ્દે તપાસ કરવાની છે, આરોપી ત્રણ દિવસ સુધી નાસતો ફરતો હતો તો તેને કોણે કોણે આશ્રય આપ્યો અને આર્થિક મદદ કોણે કરી છે, આરોપી જે જે જગ્યાએ નાસતો ફરતો હતો તે જગ્યાએ જઇ સીસીટીવી ફૂટેજ પુરાવા માટે એકત્ર કરવાના છે, આરોપીની કોલ ડિટેઇલ મેળવી ગુનો કર્યા બાદ કોની કોની સાથે શું વાત કરી તે અંગે તપાસ કરવાની છે, આરોપીએ ગુનો કર્યા બાદ અન્ય કોઇ મોબાઇલનો ઉપયોગ કર્યો છે કે નહીં સહિતના મુદ્દે તપાસ કરવા ૧૪ દિવસના રિમાન્ડની જરૂર છે.” બીજી તરફ આરોપી તરફે વકીલે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, “જે જાણતા હતા તે તપાસ કરનારને જણાવી દીધુ છે, પોલીસ જે મુદ્દે રિમાન્ડ માગ્યા છે તેમાં આરોપીની હાજરીની જરૂર નથી તેથી રિમાન્ડ અરજી રદ કરવી જાઇએ.” બન્ને પક્ષની રજૂઆત બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના ૨૫ નવે. સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.