લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કા માટે મતદાનના અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબને લઈને વિરોધ પક્ષોની ટીકાનો સામનો કરી રહેલા ચૂંટણી પંચે મોટું નિવેદન આપ્યું છે. ચૂંટણી પંચે આ મુદ્દે નિવેદન જારી કરીને કહ્યું છે કે તે મતદાનના આંકડા સમયસર જાહેર કરવાને યોગ્ય મહત્વ આપે છે. કમિશન દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દરેક મતદાન મથક પર આવતા મતદારોની સંખ્યા ફોર્મ ૧૭સીમાં નોંધવામાં આવે છે. પારદર્શિતા માટે, પ્રિસાઇડિંગ ઓફિસર અને તમામ હાજર પોલિંગ એજન્ટો દ્વારા યોગ્ય રીતે સહી કરાયેલ ફોર્મ ૧૭સીની નકલો હાજર તમામ પોલિંગ એજન્ટો સાથે શેર કરવામાં આવે છે.
ચૂંટણી પંચે નિવેદનમાં કહ્યું કે આ રીતે માત્ર મતવિસ્તાર મુજબના મતદાનનો ડેટા જ નહીં પરંતુ બૂથ મુજબના મતદાનનો ડેટા પણ ઉમેદવારો પાસે ઉપલબ્ધ છે, જે એક વૈધાનિક જરૂરિયાત છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પંચ મતદાનના દરેક તબક્કા પછી મતદાન ટકાવારીના ડેટાને સમયસર રિલીઝ કરવાને યોગ્ય મહત્વ આપે છે. ચૂંટણી પંચે નિવેદનમાં કહ્યું છે કે તેના કામકાજમાં ડિસ્ક્લોઝર અને પારદર્શિતા મહત્વપૂર્ણ છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનમાં થયેલા નજીવા ઘટાડાને જાતા મતદારોની ભાગીદારી વધારવાની પહેલ તેજ કરી છે.
તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં ૬૬.૧૪ ટકા મતદાન થયું હતું જ્યારે બીજા તબક્કામાં ૬૬.૭૧ ટકા મતદાન થયું હતું. આ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી કરતાં સહેજ ઓછું છે. પંચના જણાવ્યા અનુસાર, તેણે પોતાનું તમામ ધ્યાન મતદારોની મતદાન ટકાવારી વધારવા પર કેન્દ્રિત કર્યું છે. મતદાન પ્રક્રિયાના બીજા તબક્કામાં કેટલાક મહાનગરોમાં મતદાનની ટકાવારીના સ્તરથી કમિશન નિરાશ છે, જે ભારતના ઉચ્ચ તકનીકી શહેરોમાં ભારે ઉદાસીનતાનું સૂચક છે. આગામી તબક્કા પહેલા આયોગ સંબંધિત શહેરોના વહીવટીતંત્ર સાથે સતત સંપર્ક જાળવી રાખશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૭ મેના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ગરમી કોઈ મોટી ચિંતા નથી.