બાબરાના તાપડિયા આશ્રમ ખાતે આગામી તા. ૨૧ જાન્યુઆરી, ૨૦૨૫ને મંગળવારે જગતગુરૂ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૫મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મહામંડલેશ્વર ૧૦૦૮ ઘનશ્યામદાસબાપુ ગુરૂ દયારામબાપુના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. છેલ્લા પાંચ વર્ષથી ઘનશ્યામદાસબાપુ દ્વારા આશ્રમમાં યોજાતા આ કાર્યક્રમમાં અમરાપરા-બાબરાના રામાનંદી સાધુ સમાજ, દશનામ સાધુ સમાજ અને વૈષ્ણવ માર્ગીય સાધુ સમાજને પરિવાર સાથે આમંત્રણ અપાયું છે. ધર્મસભામાં મણીરામબાપા (હડાળા), સીતારામબાપુ (લીંબડિયા), રામમનોહરદાસબાપુ (ગરિયા), ગોપાલદાસબાપુ (હિરાણા) અને અવધબિહારીદાસ બાપુ (નાનીકુંડળ) સહિતના સંતો આશીર્વચન પાઠવશે. કાર્યક્રમમાં સવારે ૮થી ૧૦ દરમિયાન ગુરૂ મહારાજનું પૂજન-અર્ચન કરાશે. બપોરે ૪ વાગ્યે સંતોના સામૈયા નીકળશે. સાંજે ૫ વાગ્યે ધર્મસભા અને ૬ વાગ્યે ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. તાલુકા મંડળના પ્રમુખ પ્રતાપભાઈ દેવમુરારી, બાબરા-અમરાપરા યુવાપાંખ પ્રમુખ જનકભાઈ અગ્રાવત, જિલ્લા ટ્રસ્ટી ડા. રૂગનાથભાઈ કુબાવત સહિત દશનામ સાધુ સમાજ અને વૈષ્ણવ માર્ગીય સાધુ સમાજના અગ્રણીઓને બપોરે ૩ઃ૩૦ વાગ્યે પરિવાર સાથે પધારવા આમંત્રણ અપાયું છે.