ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે તાજેતરમાં જ વિદ્યાર્થીઓના મોટા વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતા વિરુદ્ધના કથિત અપરાધો માટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ મામલામાં હસીના અને અવામી લીગના અન્ય ટોચના નેતાઓ સહિત ૪૫ લોકો વિરુદ્ધ ગુરુવારે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ સમાચાર મળતા જ હસીનાની છાવણીમાં હલચલ મચી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે ‘ડેઈલી સ્ટાર’એ મુખ્ય ફરિયાદી મોહમ્મદ તાજુલ ઈસ્લામને ટાંકીને પોતાના સમાચારમાં જણાવ્યું કે જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તઝા મજુમદારની અધ્યક્ષતાવાળી ટ્રિબ્યુનલે આ આદેશ આપ્યો છે. ફરિયાદ પક્ષે આ સંદર્ભે ટ્રિબ્યુનલમાં બે અરજી દાખલ કરી હતી અને તેની સામે ધરપકડ વોરંટ જારી કરવાની અપીલ કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે આ મામલામાં ટ્રિબ્યુનલે સંબંધિત અધિકારીઓને હસીના અને અન્ય ૪૬ લોકોની ધરપકડ કરીને ૧૮ નવેમ્બર સુધીમાં તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. આૅગસ્ટમાં, બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું હતું કે તે હસીનાની આગેવાની હેઠળની સરકાર સામે તાજેતરના સામૂહિક વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન હત્યામાં સામેલ લોકો સામે ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલમાં કાર્યવાહી કરશે. હસીના સરકારની હકાલપટ્ટી બાદ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાં ૨૩૦થી વધુ લોકો માર્યા ગયા હતા. સરકારી નોકરીઓમાં વિવાદાસ્પદ અનામત પ્રણાલી સામે જુલાઈમાં વિદ્યાર્થીઓ દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા હતા.