બગસરા સ્વામિનારાયણ મંદિરમાં સંતો વચ્ચેની ચાલી રહેલી લડાઈ વધુ ઉગ્ર બની છે. આ મંદિરમાં નવા અને જૂના સંતો વચ્ચે અસ્તિત્વની લડાઈમાં બે અલગ અલગ જગ્યાએ સભાઓ પણ થવા લાગી છે. હરિભક્તો પણ કઈ સભામાં જવું કે ના જવું તેવી મૂંઝવણમાં રહેતા હોય છે. તેવા સમયે સ્વામિનારાયણ મંદિર બગસરા દ્વારા કોઈ પણ સમયે મંદિર પરિસરમાં પરિસ્થિતિ બગડે કે સંતો ઉપર હુમલો થાય તેવી શંકા થતા સંતો દ્વારા બગસરા પોલીસ સ્ટેશનમાં પોલીસ રક્ષણની માંગણી કરવામાં આવી છે. જેને પગલે બગસરા પોલીસ સ્ટેશન દ્વારા આગામી ૧૫ દિવસ માટે સ્વામિનારાયણ મંદિરમાં સાંજના ૬ વાગ્યા થી ૯ વાગ્યા સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે સામાન્ય લોકોના ઘરમાં ઝઘડા થતા હોય ત્યારે સંતો દ્વારા નિરાકરણ લાવવામાં આવતું હોય છે પરંતુ હવે સંતો વચ્ચે શરૂ થયેલા ઝઘડાઓનું નિરાકરણ કોણ લાવશે તેવી હરિભક્તોમાં ચર્ચાએ જોર પકડ્‌યું છે.