બગસરા નગરપાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર દિલીપભાઈએ શાકમાર્કેટમાં વર્ષોથી જામેલા અતિક્રમણ સામે કડક કાર્યવાહી કરી છે. લાંબા સમયથી પ્રજાની માગણી હતી તે મુજબ શાકમાર્કેટના તમામ માર્ગો ખુલ્લા કરાવવામાં આવ્યા છે. શાકમાર્કેટમાં પ્રવેશવું માથાના દુઃખાવા સમાન બની ગયું હતું, જે સમસ્યા હલ થતાં સ્ટોલધારકો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. માર્કેટમાં ફેલાયેલી ગંદકી દૂર કરવામાં આવી છે અને બંધ
પડેલું યુરિનલ પણ કાર્યરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દબાણ કરનારા લારીધારકો પાસેથી કુલ રૂ. ૪૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે. પાલિકા દ્વારા વેપારીઓને ચેતવણી આપવામાં આવી છે કે રોજ તપાસ કરવામાં આવશે અને નિયમ ભંગ કરનારાઓની લારીઓ જપ્ત કરવામાં આવશે. વેપારીઓએ જૂની શાકમાર્કેટના રિનોવેશનની માગણી પણ કરી છે, જેના પર ધ્યાન આપવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.