અમરેલી એસ.ટી. ડિવિઝનમાં એટીઆઈની પરીક્ષા લેવાયા બાદ પાસ થયેલા કર્મચારીઓને એટીઆઈનો હોદ્દો આપવામાં આવતા મોટાભાગના બસ સ્ટેશનમાં એટીઆઈની જગ્યા ભરવામાં આવી છે પરંતુ બગસરા ડેપોમાં હજુ સુધી એટીઆઈની જગ્યા ખાલી હોવાથી ડ્યુટી લીસ્ટ બનાવવા જેવી મહત્વની કામગીરી ડેપો મેનેજરના શીરે આવી હોવાથી એેસ.ટી.ના મહત્વના કામો ખોરંભે ચડે તેવી સંભાવના સેવાઈ રહી છે. તાજેતરમાં એટીઆઈની પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ પાસ થયેલા ડ્રાઈવરોને એટીઆઈનું પ્રમોશન આપવામાં આવ્યું છે. એટીઆઈને પ્રમોશન આપવામાં આવતા મોટાભાગના બસ સ્ટેશનોમાં એટીઆઈની જગ્યા ભરવામાં આવતા વહીવટી કામમાં સરળતા થઈ છે પરંતુ બગસરા ડેપોમાં હજુ પણ એટીઆઈની જગ્યા ખાલી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ડેપોના અમુક કર્મચારીઓ ભુતકાળમાં એટીઆઈની કામગીરીમાં માથું મારતા હોવાથી બગસરા ડેપોમાં કોઈ એટીઆઈ આવવા તૈયાર નથી તો અમુક કર્મચારીઓને લાંબા રૂટમાં નોકરી ફાળવવામાં આવે તો તેઓ રજા પર ઉતરી જાય કે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા હોવાનું પણ જાણવા મળ્યુ છે. હાલ તો એટીઆઈની કામગીરી ડેપો મેનેજરના શીરે આવી ગઈ છે. ડ્યુટી લીસ્ટની કામગીરી ડેપો મેનેજરને કરવી પડતી હોવાથી ડેપોના અન્ય પ્રશ્નોનુ નિરાકરણ આવતુ નથી. ડેપોમાં વહીવટી સરળતા ખાતર તાત્કાલિક એટીઆઈની નિમણૂંક કરવામાં આવે અને મુસાફરોના હિતને બદલે પોતાના હિતનું વિચારનારા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.