હાલ ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધનો માહોલ જામ્યો છે ત્યારે ભારતના ફાઈટર વિમાનોથી આકાશ ગુંજી ઉઠ્યુ છે. આવા યુધ્ધના માહોલ વચ્ચે બગસરાના લુંઘીયા ગામે ભેદી ધડાકો થતા મકાનો ધ્રુજી ઉઠયા હતા અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. જાણવા મળતી માહિતી પ્રમાણે બગસરા તાલુકાના લુંઘીયા ગામે સવારે અચાનક જ ભેદી ધડાકો સંભળાયો હતો. આ ધડાકાનો અવાજ એટલો મોટો હતો કે આજુબાજુના ગામોમાં પણ સંભળાયો હતો. આ અંગે ગામમાંથી મળતી વિગતો મુજબ સવારના ૧૧ કલાકની આસપાસ મોટો ધડાકો સંભળાયો હતો જેથી ગામના મકાનો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને ધડાકાની થોડી જ સેકન્ડોમાં વિમાનની અવરજવર દેખાતા ગ્રામજનો આ ધડાકાને યુધ્ધ સાથે પણ જાડી રહ્યાં છે. જો કે આ ઘટનાની જાણ પોલીસ અને મામલતદારને પણ કરવામાં આવી હતી. આ અંગે મામલતદાર ભીંડીએ જણાવ્યું હતું કે ધડાકો થયો હોવાની માહિતી મળતા પોલીસને આ બાબતે તપાસ કરવા માટે મોકલી હતી જો કે કોઈ તથ્ય સામે આવ્યું નથી.