બગસરાથી અમરેલી તરફ જતો શહેરનો એક માત્ર માર્ગ અત્યારે બિસ્માર હાલતમાં છે. ઘણા લોકો નોકરી અને અભ્યાસ માટે રોજિંદા બગસરાથી અમરેલી મુસાફરી કરતા હોય છે તેમને આવા રસ્તાના કારણે ગંભીર અક્સ્માત સર્જાવાનો ભય પણ સતાવી રહ્યો છે. આ રસ્તામાં એક એક ફૂટ ઊંડા અને છથી સાત ફૂટ લાંબા ખાડા પડી ગયા હોવાથી અહિંથી પસાર થવું ખૂબ મુશ્કેલ બન્યું છે. આજુબાજુના ગામડાના લોકો પણ બગસરામાં અનેક કામ માટે આવતા જતા હોય છે. દવાખાના તેમજ હટાણું કરવા પણ અહીંયા આવતા હોય છે. આ રસ્તાની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે શહેરનો મુખ્ય માર્ગ જાણે મગરમચ્છની પીઠ સમાન બની ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પહેલેથી જ આ માર્ગ વિવાદમાં સપડાયો છે. જ્યારે આ રસ્તો આશરે બે વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો ત્યારે નબળી કામગીરીથી લોકોએ વિરોધ કર્યો હતો અને ફરી પાછો આ રસ્તો બનાવ્યો હતો. બેથી ત્રણ વખત બનેલા આ માર્ગમાં જનતાના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. આ રોડ તત્કાલ બનાવવામાં નહિ આવે તો પાલિકાનો ઘેરાવ કરીશું તેવી ચીમકી લોકોએ ઉચ્ચારી છે.