ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) એ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. હુમલાના મુખ્ય સૂત્રધાર તરીકે જેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તે જયરાજ આહીરને ત્રણ દિવસમાં બીજી વખત તેડું મોકલવામાં આવ્યું છે. આજે બપોરે જયરાજ આહીર આઈજી કચેરીએ હાજર થતા રાજકીય અને સામાજિક આલમમાં ગરમાવો આવી ગયો છે.
પૂછપરછ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેન્જ આઈજીની કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પૂછપરછમાં હાજર થતા પહેલા જયરાજ આહીરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, “મને આજે ફરી હાજર થવા સમન્સ મળ્યું છે. હું તપાસમાં પૂરો સહયોગ આપીશ અને અત્યારે સંયમ જાળવીને પૂછપરછ માટે જઈ રહ્યો છું.” ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ પણ તેની સાડા ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
બીજી તરફ, હુમલાનો ભોગ બનનાર નવનીત બાલધિયાએ હાજર થઈને ૧૫ જેટલા મહત્વના પુરાવા સોંપ્યા હોવાનો દાવો કર્યો છે. નવનીતનો આક્ષેપ છે કે, “આ હુમલો જયરાજ આહીરે જ કરાવ્યો છે. હુમલા સમયે હુમલાખોરો કોની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા તેની તપાસ થવી જાઈએ.” નવનીતે ચીમકી આપી છે કે જા ન્યાય નહીં મળે તો સમાજનું મોટું સંમેલન બોલાવવામાં આવશે.
એસઆઇટીની તપાસમાં અત્યાર સુધીમાં કુલ ૧૩ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તાજેતરમાં ઉત્તમ ભરત બાંભણીયા અને અજય ઉર્ફે મોટો ભાલીયાની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકી સહિતના શખ્સો ઝડપાઈ ચૂક્યા છે.
આ વિવાદની શરૂઆત એક કાર્યક્રમથી થઈ હતી. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે કાર્યક્રમમાં ભૂલથી ખોટું નામ લેતા નવનીતે તેમને જાણ કરી હતી. ત્યારબાદ માયાભાઈએ માફી માંગતો વીડિયો મોકલ્યો હતો. આ વાત માયાભાઈના પુત્ર જયરાજને પસંદ ન આવતા તેણે નવનીત પર હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો ગંભીર આરોપ છે.









































