કોંગ્રેસ નેશનલ હેરાલ્ડ અને અન્ય મુદ્દાઓ પર ઘરે ઘરે જઈને ‘બંધારણ બચાવો’ અભિયાન ચલાવશે. પાર્ટીના મતે, આ કેરળ મોડેલની તર્જ પર કરવામાં આવશે. નેશનલ હેરાલ્ડ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામનો સમાવેશ કરવા અંગે પાર્ટીએ દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે.
નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત ચાર્જશીટમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામ સામે આવ્યા બાદ કોંગ્રેસ આઘાતમાં છે.પાર્ટી પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેએ પાર્ટીના મહાસચિવો, પ્રભારીઓ અને સંલગ્ન સંગઠનોની બેઠક બોલાવી હતી. બેઠકમાં ખડગેએ આરોપ લગાવ્યો કે સરકાર નેશનલ હેરાલ્ડ કેસમાં રાજકીય બદલાની ભાવનાથી કામ કરી રહી છે. પરંતુ આનાથી પાર્ટીને ડરાવી શકાય નહીં. અમદાવાદ સંમેલન પછી તરત જ ઈડ્ઢ એ ચાર્જશીટ દાખલ કરી દીધી તે કોઈ સંયોગ નથી.
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ૨૧ થી ૨૪ એપ્રિલ દરમિયાન દેશના દરેક રાજ્યમાં નેશનલ હેરાલ્ડ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજાશે. ૨૫ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી દરેક રાજ્યમાં બંધારણ બચાવો પરિષદનું આયોજન કરવામાં આવશે. ૩ મે થી ૨૦ મે દરમિયાન જિલ્લા અને બ્લોક સ્તરે સમાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જ્યારે ૨૦ મે થી ૩૦ મે દરમિયાન કોંગ્રેસ ઘરે ઘરે જઈને બંધારણ બચાવો અભિયાન ચલાવશે.
આ બેઠકમાં ખડગે ઉપરાંત પ્રિયંકા ગાંધી, અજય માકન, જયરામ રમેશ, ભૂપેશ બઘેલ અને અન્ય નેતાઓએ હાજરી આપી હતી. સ્વાભાવિક છે કે, પાર્ટી ગાંધી પરિવાર વિરુદ્ધ ઈડ્ઢની કાર્યવાહીને મુદ્દો બનાવીને રાજકીય વળતો હુમલો કરવા માંગે છે, કારણ કે ભાજપ આ મામલાના બહાને સતત ગાંધી પરિવાર પર સીધા હુમલા કરી રહી છે.