બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દોના સમાવેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ ખન્ના અને જસ્ટીસ સંજય કુમારની બેંચ પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, એડવોકેટ વિષ્ણુ શંકર જૈન અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી. આ અરજદારોએ આ બે શબ્દોને બંધારણમાં સામેલ કરવાના વિરોધમાં અરજી દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ૧૯૭૬માં ૪૨મો સુધારો પસાર થયા બાદ આ બંને શબ્દોને બંધારણની પ્રસ્તાવનામાં સામેલ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન,સીજેઆઇએ કહ્યું કે બંધારણમાં ૪૨મો સુધારો આ અદાલત દ્વારા ઘણી ન્યાયિક સમીક્ષાઓને આધિન છે. તે સમયે (ઇમરજન્સી) સંસદે જે પણ કર્યું તે અમાન્ય હતું એવું આપણે કહી શકીએ નહીં. ચુકાદો અનામત રાખતી વખતે, બેન્ચે અરજદારોની માંગને ફગાવી દીધી હતી જ્યારે કેસને બંધારણીય બેંચને મોકલવાનો ઇનકાર કર્યો હતો. એ પણ કહ્યું કે ભારતીય અર્થમાં “સમાજવાદી બનવું” એ “કલ્યાણકારી રાજ્ય” ગણાય છે. સીજેઆઇ બેન્ચે આ મુદ્દે ચુકાદો આપવા માટે ૨૫ નવેમ્બરની તારીખ નક્કી કરી છે.
તમને જણાવી દઈએ કે ૧૯૭૬માં ઈન્દીરા ગાંધીની સરકારે ૪૨મો બંધારણીય સુધારો કરીને બંધારણની પ્રસ્તાવનામાં “સમાજવાદી”, “સેક્યુલર” અને “અખંડિતતા” શબ્દોનો સમાવેશ કર્યો હતો. આ સુધારા પછી, પ્રસ્તાવનામાં ભારતનું સ્વરૂપ “સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક” થી “સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક” માં બદલાઈ ગયું.