ભારત અને સ્પેનના pm ગુજરાતના મહેમાન બન્યા હતો. વડોદરાના આંગણે નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. બંનેને આવકારવા રોડની બંને સાઇડ મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. બંને વડાપ્રધાને ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારે લોકોએ મોદી…મોદી…ના નારા લગાવ્યા હતા. બાદમાં પીએમ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝે ભારતના પ્રથમ c-૨૯૫ એરક્રાફ્‌ટ ફાઈનલ એસેમ્બ્લી લાઇનનું ઉદઘાટન કર્યું હતું. ટાટા એરક્રાફ્‌ટ કોમ્પ્લેક્સમાં પ્રદર્શન નિહાળ્યા બાદ બંને દેશના વડાપ્રધાન એક જ કારમાં સવાર થઈ લક્ષ્મીવિલાસ પેલેસ પહોંચ્યા હતા. અહીં બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બાદમાં બન્ને વડાપ્રધાને સાથે લંચ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાના પ્રવાસમાં રોડ શો પછી સી-૨૯૫ એરક્રાફ્ટના કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યુ હતુ. ભારતમાં સ્કીલ્સ અને ડિફેન્સ ઉત્પાદન પર ફોકસ છે. આ ફેક્ટરીથી ભારતમાં નવા ઉદ્યોગોને બળ મળશે. દેશના અનેક નાના શહેરોમાં એર કનેકટીવિટી પહોંચાડી છે. વડોદરામાં ફાર્મા, એન્જીનિયરિંગની અનેક કંપનીઓ છે. કેમિકલ અને પાવરની પણ અનેક કંપનીઓ વડોદરામા છે. ગુજરાત સરકારને તેમનાં નિર્ણયો માટે ખૂબ અભિનંદન પાઠવું છું.
મોદીએ વધુમાં કહ્યું હતું કે, ઓક્ટોબર ૨૦૨૨માં જ આ ફેક્ટરીનું નિર્માણ શરૂ થયું હતું. બે વર્ષમાં આ ફેક્ટરી એરક્રાફ્ટના નિર્માણ માટે તૈયાર છે. ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ નવી ઉંચાઇઓ પર પહોંચી ગયું છે. ૧૦ વર્ષ પહેલાં જે પગલાં લેવા શરૂ કર્યા હતા તેનું આ પરિણામ છે. અમે નવા રસ્તે ચાલવાનું પસંદ કર્યું, તેનું આ પરિણામ છે. શક્યતાને સમૃદ્ધિમાં બદલવા યોગ્ય પ્લાન, ભાગીદારી જરૂરી છે. ટાટા એડવાન્સ સિસ્ટમનાં ઉદ્‌ઘાટન સમયે મોદીએ વધુમાં કહ્યું હતું કે, સી– ૨૯૫ એરક્રાફ્ટનું ઉત્પાદનનું હવે નિર્માણકાર્ય થશે. એરબસ અને ટાટાની ટીમને ખુબ-ખુબ શુભેચ્છાઓ. આપણે દેશના મહાન સપૂત રતન ટાટાજીને ગુમાવ્યા છે. રતન ટાટાજીને આજે સર્વાધિક ખુશી થઇ હોત, તેમની આત્મા જ્યાં હશે ત્યાં આજે પ્રસન્ન હશે. નવા ભારતના નવા વર્ક કલ્ચરને આ સિસ્ટમ અસર કરે છે. ભારત કઇ સ્પીડથી કામ કરે છે તે અહીં દેખાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી અમે ભારત અને સ્પેન વચ્ચેની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ. અમે સી-૨૯૫ એરક્રાફ્ટના ઉત્પાદન માટે ફેક્ટરી શરૂ કરી રહ્યા છીએ. આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય હવાઈદળના એવરો-૭૪૮નું સ્થાન લેશે. આ પ્રોજેક્ટ ૨૨ હજાર કરોડ રૂપિયાનો છે અને બે વર્ષ પહેલા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં મૃત્યુ પામેલા ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટના લીધે ૧૫ હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે. પછી ટાટાની ફેક્ટરી ૨૦૨૬થી ૨૦૩૧ દરમિયાન ૪૦ પ્લેન પૂરા પાડશે.