ગાઝામાં મૃત્યુઆંક વધીને ૬૯,૦૦૦ થયો છે. ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલા પછી મૃત્યુઆંક ૬૯,૧૬૯ પર પહોંચી ગયો છે, જ્યારે ૧૭૦,૬૮૫ ઘાયલ થયા છે. ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામની જાહેરાત થયા પછી કાટમાળ નીચેથી મૃતદેહો મળી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી રહ્યો છે. ઇઝરાયલે હમાસને વધુ ૧૫ પેલેસ્ટીનિયનોના મૃતદેહો પણ પરત કર્યા.ગાઝા હોસ્પીટ્લના અધિકારીઓ અને હમાસે જણાવ્યું હતું કે તેમને યુદ્ધવિરામ કરાર હેઠળ ઇઝરાયલ દ્વારા સોંપવામાં આવેલા ૧૫ પેલેસ્ટીનિયનોના મૃતદેહ મળ્યા છે. એક દિવસ પહેલા, હમાસે એક બંધકનો મૃતદેહ ઇઝરાયલને પરત કર્યો હતો. યુદ્ધવિરામ કરાર હેઠળ, ઇઝરાયલ દરેક ઇઝરાયલી બંધક માટે ૧૫ પેલેસ્ટીનિયનોના મૃતદેહ સોંપે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે ખાન યુનિસમાં નાસેર હોસ્પીટ્લમાં મૃતદેહો લાવવામાં આવ્યા હતા. હમાસ દ્વારા બીજા મૃતદેહનું સોંપણી યુએસ-મધ્યસ્થી યુદ્ધવિરામ કરારને અમલમાં મૂકવા તરફનું બીજું પગલું દર્શાવે છે.ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, હમાસે લિયોર રુડેફ તરીકે ઓળખાતા બીજા બંધકનો મૃતદેહ સોંપ્યો છે. હોસ્ટેજ અને મિસિંગ ફેમિલીઝ ફોરમે અહેવાલ આપ્યો છે કે રુડેફનો જન્મ આર્જેંટિનાનામાં થયો હતો અને તે બાળપણમાં દક્ષિણ ઇઝરાયલમાં રહેવા ગયો હતો. ફોરમે અહેવાલ આપ્યો છે કે રુડેફ હમાસના હુમલામાં માર્યો ગયો હતો, ત્યારબાદ તેનો મૃતદેહ ગાઝા લઈ જવામાં આવ્યો હતો. ૧૦ ઓક્ટોબરથી યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યો ત્યારથી, પેલેસ્ટીનિયન આતંકવાદીઓએ રુડેફ સહિત ૨૩ બંધકોના મૃતદેહ સોંપ્યા છે અને ગાઝામાં પાંચ બંધકો બાકી છે.ઇઝરાયલે ૩૦૦ પેલેસ્ટીનિયનોના મૃતદેહ હમાસને સોંપ્યા છે. ડીએનએ કીટના અભાવે ગાઝામાં આરોગ્ય અધિકારીઓને મૃતદેહો ઓળખવામાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ અત્યાર સુધીમાં ૮૪ મૃતદેહો ઓળખી કાઢ્યા છે. યુદ્ધવિરામની શરતો હેઠળ, ઇઝરાયલે ગાઝામાં નોંધપાત્ર રીતે વધુ રાહત પુરવઠો આપવાની મંજૂરી આપવી પડશે. યુએનના નાયબ પ્રવક્તા ફરહાન હકના જણાવ્યા અનુસાર, આ કરાર હેઠળ રાહત કામગીરી હજુ પણ ગાઝામાં જરૂરિયાત કરતાં ઘણી ઓછી છે. તેમણે કહ્યું કે ગાઝામાં ૨૦૦,૦૦૦ મેટ્રિક ટનથી વધુ રાહત પુરવઠો પહોંચાડવાની યોજના છે, પરંતુ અત્યાર સુધીમાં ફક્ત ૩૭,૦૦૦ ટન જ પહોંચાડવામાં આવ્યું છે.










































