પાકિસ્તાન પર આક્રમણ કરવું જોઈએ ? કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં ૨૮ની હત્યા પછી આ મુદ્દો ચર્ચામાં છે. સામાન્ય લોકોમાં ભારે આક્રોશ છે અને પાકિસ્તાનની સાન ઠેકાણે લાવવા માટે એક વાર તો હલ્લાબોલ કરી જ નાંખવું જોઈએ એવી લોકોની લાગણી છે. નિવૃત્ત લશ્કરી અધિકારીઓ પણ પાકિસ્તાન સામે નાનાં નાનાં પગલાંના બદલે એક વાર આર યા પારની લડાઈ કરીને મિલિટરી ઓપરેશન કરી નાખવાની તરફેણ કરે છે.
ભૂતકાળમાં ભારતે પુલવામા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે, સર્જિકલ સ્ટ્રાઈકથી હવે વાત આગળ વધી ગઈ છે કેમ કે પાકિસ્તાનમાં આતંકવાદી નેટવર્ક એટલું બધું વ્યાપક છે કે તેનો ખાતમો સર્જીકલ સ્ટ્રાઈકથી કરવો શક્ય જ નથી. પાકિસ્તાનમાં ધર્માંધતા અને કટ્ટરવાદના કારણે આતંકવાદીઓની ભરતી બંધ થતી જ નથી ને આપણે મારી મારીને કેટલાંને મારીશું ? તેના બદલે એક વાર મોટો હુમલો કરીને પાકિસ્તાનમાં આતંકવાદી નેટવર્કને પોષનારા પાકિસ્તાની આર્મીને ખોખરું કરી નાંખવું જોઈએ અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) પર કબજો કરી લેવો જોઈએ.
નાઈન ઈલેવનના હુમલા પછી અમેરિકાએ અફઘાનિસ્તાનને જે રીતે ધમરોળ્યું હતું એ રીતે ધમરોળી નાંખ્યા પછી પાકિસ્તાન સામે સતત પ્રોક્સી વોર કરવી પડે.
પીઓકે પર કબજો કરવાની અત્યારે આપણી પાસે તક પણ છે કેમ કે પાકિસ્તાને સિમલા કરાર રદ કરી નાંખ્યા છે. આ સંજોગોમાં પાકિસ્તાન સાથેના વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે હવે આપણે બંધાયેલા નથી તેથી આપણે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને કબજો કરી શકીએ ને એક વાર પીઓકે પર કબજો થાય તો આતંકવાદીઓની કમર તૂટી જાય, પાકિસ્તાન આર્મીનું મોરલ પણ તૂટી જાય.
ભારત ચોક્કસ વ્યૂહરચના સાથે આક્રમણ કરે તો આખા પીઓકે પર કબજો કરી શકે. માનો કે એવું ના થાય ને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં આપણે અંકુશરેખા (લાઈન ઓફ કંટ્રોલ-એલઓસી)થી પાંચ-સાત કિલોમીટર અંદર સુધી જઈ શકીએ તો પણ પૂરતું છે. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં આતંકવાદીઓના અડ્ડા ધમધમે છે. એ બધા કંઈ અંકુશરેખાથી પાંચ-સાત કિલોમીટરના દાયરામાં ના જ હોય પણ આપણે ત્યાં સુધી ઘૂસીએ એટલે તેમનામાં ભાગદોડ તો મચે જ. કોઈને આ વાતો શેખચલ્લીના તુક્કા જેવી લાગે પણ આ શક્ય છે.

પીઓકે પર કબજો કરવા રાજકીય ઈચ્છાશક્તિ જરૂરી છે.
આપણી સંસદે ૨૦૧૬ના નવેમ્બરમાં ઠરાવ પસાર કરેલો કે, પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) ભારતનો જ હિસ્સો છે ને ભારત એ પાછો મેળવવા તમામ પ્રયત્નો કરશે. ઈન્ડિયન આર્મી અને એરફોર્સે વારંવાર કહ્યું છે કે, દેશની નેતાગીરી સંકેત કરે એટલી વાર છે, બાકી અમે તો પીઓકેમાં ઘૂસીને કબજો કરવા તૈયાર જ બેઠા છીએ.
ભારતના આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નારવણેએ ૨૦૨૦માં પત્રકાર પરિષદમાં સંસદના ઠરાવની વાત યાદ અપાવીને ડંકે કી ચોટ પર એલાન કરેલું કે, ભારતીય આર્મી પીઓકે પર કબજા માટે સજ્જ છે. જનરલ નારવણેએ કહેલું કે, ભારતની સંસદે બહુ વર્ષો પહેલાં ઠરાવ પસાર કર્યો હતો કે, પાકિસ્તાને પચાવી પાડેલાં કાશ્મીર (પીઓકે) સહિત સમગ્ર કાશ્મીર ભારતનું જ છે. ભારતની સસંદ ઈચ્છતી હોય કે, સમગ્ર કાશ્મીર પર ભારતનો કબજો થાય તો અમને આદેશ આપે, અમે પીઓકે પાછું મેળવીને ચોક્કસ કાર્યવાહી કરીશું.
જનરલ નારવણેએ આડકતરી રીતે સરકારને પીઓકે પર કબજો કરવા માટે આક્રમણ કરવા ગ્રીન સિગ્નલ આપવા કહી દીધેલું પણ મોદી સરકાર હિંમત ના બતાવી શકી અને આર્મીને છૂટો દોર ન આપી શકી.
આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે પણ ૨૦૨૦માં જ આ વાત દોહરાવી હતી. પાકિસ્તાન અને ચીન એકબીજાની નજીક આવી રહ્યાં છે એ સંદર્ભમાં જનરલ રાવતે કહેલું કે, ચીન-પાકિસ્તાન ભેગાં મળીને ભારત સામે જે બેવડો ખતરો ઉભો કરી રહ્યાં છે તેને પહોંચી વળવા ભારત સક્ષમ છે તેથી ચિંતા કરવાની જરૂર નથી.
જનરલ રાવતે કહેલું કે, પાકિસ્તાન ચીનના ખોળામાં બેઠેલું છે. બંને લશ્કરી, આર્થિક ને રાજદ્વારી રીતે પણ એક જ છે. બંને એકબીજાને માફક આવે ને હિતો સચવાય એ રીતે વર્તી રહ્યાં છે. ચીન-પાકિસ્તાન પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં સાથે મળીને જ કામ કરી રહ્યાં છે તેથી ચીન પીઓકેમાં ઘૂસી જાય એ પહેલાં આપણે કાર્યવાહી કરવી પડે.
જનરલ રાવતની વાતને ગંભીરતાથી લઈને મોદી સરકારે એ વખતે લશ્કરને છૂટ આપી હોત તો અત્યારે કદાચ પીઓકે ભારત પાસે હોત. જો કે હજુય મોડું થયું નથી અને મોદી સરકાર હિંમત બતાવે તો આપણું આર્મી તો તૈયાર જ બેઠું છે.
કમનસીબે મોદી સરકારમાં રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ છે. ભાજપને લોકસભાની ચૂંટણીમાં મત લેવા હોય ત્યારે પીઓકેનો મુદ્દો છેડે છે ને પછી ઠંડા પડીને બેસી જાય છે. ગયા વરસે લોકસભાની ચૂંટણીમાં ભાજપે પીઓકે લેવાનો મુદ્દો ગજવેલો. એ વખતે કોંગ્રેસના મણિશંકર ઐયરે કહેલું કે, પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો હોવાથી ભારત આક્રમણ કરે તો પાકિસ્તાન કંઈ નહીં કરે એવું માનવાને કારણ નથી કેમ કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી.
નરેન્દ્ર મોદીએ સામે ફૂંફાડો માર્યો હતો કે, અમે પાકિસ્તાનને બંગડીઓ પહેરાવી દઈશું.
સવાલ એ છે કે, મોદી સરકાર ક્યારે પાકિસ્તાનને બંગડીઓ પહેરાવશે ? પહેલગામ જેવા બીજા હુમલા થાય ને ભારતીયોની લાશો પડ્‌યા કરે તેની રાહ જોવાની છે ?

પીઓકે પર કબજો કેમ જરૂરી છે ?
પીઓકે પાકિસ્તાનનું ભારતમાં આતંકવાદ ફેલાવવા માટેનું લોંચ પેડ છે. પીઓકેમાં પાકિસ્તાને ઉભી કરેલી આતંકવાદી છાવણીઓમાંથી આવતા આતંકવાદીઓ ભારતમાં કાળો કેર વર્તાવે છે, નિર્દોષ લોકોની હત્યાઓ કરે છે અને કાશ્મીરમાં શાંતિ થવા જ નથી દેતા. ભારતનો પીઓકે પર કબજો હોય તો આખા આતંકવાદી નેટવર્કનો ખાતમો કરી શકાય. તેના કારણે કાયમ માટે કાશ્મીરમાં શાંતિ થઈ જાય અને કાશ્મીરમાં સુરક્ષા પાછળ દર વરસે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે એ પણ બંધ થઈ જાય.
બીજો ફાયદો મોટો છે.
પીઓકેની સરહદ છેક અફઘાનિસ્તાનને અડકે છે. અત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે. પાકિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચે જંગ ચાલે છે જ્યારે ભારત અને તાલિબાનના સંબંધો સારા છે. પીઓકે પર કબજો હોય તો ભારત અફઘાનિસ્તાન સાથે સીધો વેપાર કરી શકે અને પાકિસ્તાની એર સ્પેસનો ઉપયોગ કર્યા વિના પોતાનાં વિમાનો ઉડાડી શકે. ઈરાન સાથે પણ સીધો વ્યાપાર કરી શકાય. તેના કારણે ભારતને ભારે આર્થિક ફાયદો થાય.
ભારતને બીજો ફાયદો એ થાય કે, પાકિસ્તાનને અંકુશમાં રાખી શકાય. પાકિસ્તાનમાં બલુચિસ્તાન, પંજાબ, સિંધ અને ખૈબર પશ્તુનવાલા એમ ચાર પ્રાંત છે. રાજધાની ઈસ્લામાબાદ ફેડરલ કેપિટલ ટેરિટરી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ છે. સંખ્યાબંધ કેન્દ્રશાસિત આદિવાસી પ્રદેશો છે કે જેમાંથી મોટા ભાગના અફઘાનિસ્તાનની સરહદે છે. આ વિસ્તારોમાં નામ પૂરતું પાકિસ્તાનનું શાસન છે. બાકી ત્યાં આદિવાસી કબિલા જ રાજ કરે છે.
પાકિસ્તાનની રચના ઈસ્લામ પાળતા લોકોના રાષ્ટ્ર તરીકે થઈ પણ પાકિસ્તાનની સ્થાપનાથી જ ચારેય પ્રાંતોમાં ડખા શરૂ થઈ ગયેલા. આ ડખા ધીરે ધીરે વધતાં અત્યારે પાકિસ્તાન આંતરવિગ્રહમાં સપડાયેલું છે. પાકિસ્તાનમાં આંતરવિગ્રહનું કારણ ત્યાંનું રાજકારણ છે. પાકિસ્તાનના રાજકારણ પર પંજાબીઓ અને સિંધીઓનું વર્ચસ્વ છે અને બીજા પ્રાંતોની અવગણના થાય છે.
પાકિસ્તાનમાં મુસ્લિમ લીગ અને પીપીપી એ બે પાર્ટી વારાફરતી સત્તામાં આવે છે. નવાઝ શરીફની પાર્ટી મુસ્લિમ લીગ પંજાબમાં વર્ચસ્વ ધરાવે છે. બેનઝીર ભુટ્ટોના પિતાએ સ્થાપેલી અને હવે બેનઝીરના પતિ આસિફ અલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સિંધમાં વર્ચસ્વ ધરાવે છે. આ બંને પાર્ટીએ આખા પાકિસ્તાનને ચૂસી લીધું તેથી બીજા પ્રાંતનાં લોકોમાં જબરદસ્ત આક્રોશ છે. આ બધા પ્રદેશોનાં લોકો પાકિસ્તાનથી અલગ થવા લડી રહ્યાં છે.
ભારત પાસે પીઓકે હોય તો ભારત પીઓકેનો ઉપયોગ પાકિસ્તાન સરકાર સામે લડતાં સંગઠનોને પનાહ આપવા કરી શકે ને પાકિસ્તાનના ટુકડા કરાવી શકે.
sanjogpurti@gmail.com