પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં અકસ્માતના દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ સિંધુ નદીમાં પડી છે. મળતી માહિતી મુજબ, આ તમામ મુસાફરો એક લગ્ન સમારોહમાં સામેલ થવા માટે સરઘસમાં જઈ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, દુર્ઘટના સ્થળેથી ઓછામાં ઓછા ૧૬ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
‘ડોન’ અખબારે આપેલી માહિતી અનુસાર, જે બસ સાથે અકસ્માત થયો તે એસ્ટોરથી પંજાબના ચકવાલ જિલ્લા તરફ જઈ રહી હતી. જા કે માર્ગમાં બસ તેલચી પુલ પરથી સિંધુ નદીમાં પડી હતી. બસ સિંધુ નદીમાં પડી જતાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા હતા અને એક મહિલા ઘાયલ થઈ હતી.
આ ઘટના અંગે પોલીસે માહિતી આપી છે કે અકસ્માત સમયે બસમાં બેઠેલા તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પહાડી ગિલગિટ-બાલ્ટીસ્તાન વિસ્તારમાં બનેલી આ દુર્ઘટના બાદ સ્થાનિક પોલીસ સ્થળ પર છે. બસમાં બેઠેલા અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.
ગત સપ્તાહની શરૂઆતમાં પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં રેલવે સ્ટેશન પર આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. જેમાં ૨૬ લોકોના મોત થયા હતા અને લગભગ ૬૨ લોકો ઘાયલ પણ થયા હતા. મળતી માહિતી મુજબ, આ ઘટના બાદ પાકિસ્તાન સરકારે સુરક્ષા કારણોસર સોમવારથી ચાર દિવસ માટે બલૂચિસ્તાનથી આવતી અને આવતી તમામ રેલ્વે સેવાઓને સ્થગિત કરી દીધી છે. અલગતાવાદી બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. પાકિસ્તાન સરકારે કહ્યું છે કે તે આ હુમલાનો જવાબ આપશે.