તમારી મુલાકાત અમારા માટે ગર્વની વાત છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ૫ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા. ત્રિનિદાદ અને ટોબેગોના પીએમ કમલા પ્રસાદ-બિસેસર દ્વારા પિયાર્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર અનેક કેબિનેટ મંત્રીઓ અને સાંસદોએ તેમનું સ્વાગત કર્યું. એરપોર્ટ પર ભારતીય સંસ્કૃતિની ઝલક જાવા મળી, જ્યાં લોકો ભારતીય પૌરાણિક પાત્રોના પોશાકમાં હાજર હતા. સાંસ્કૃતિક પ્રદર્શનોએ વાતાવરણને વધુ રંગીન બનાવ્યું. પીએમ મોદીને ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો’થી પણ નવાજવામાં આવ્યા.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, ‘હું પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ અને ટોબેગો પહોંચી ગયો છું. પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસ્સેસર, મંત્રીમંડળના આદરણીય સભ્યો અને સાંસદોનો એરપોર્ટ પર સ્વાગત કરવા બદલ આભાર. આ મુલાકાત આપણા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. થોડા કલાકોમાં એક સમુદાય કાર્યક્રમને સંબોધિત કરવા માટે આતુર છું.’ હોટેલ પહોંચતા જ ભારતીય સમુદાયે ‘ભારત માતા કી જય’ અને ‘મોદી-મોદી’ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું.
ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસ્સેસરએ પીએમ મોદીની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું, ‘અમને એક એવી વ્યક્તિની હાજરીમાં રહેવાનું સૌભાગ્ય મળ્યું છે જે આપણા ખૂબ જ નજીકના અને પ્રિય છે. અમને ગર્વ છે કે આવા નેતા આપણી વચ્ચે છે, જેમનું આગમન માત્ર ઔપચારિકતા નથી પણ આપણા માટે એક મહાન સન્માન છે. મને ખૂબ આનંદ છે કે હું વિશ્વના સૌથી આદરણીય અને પ્રશંસનીય સ્વપ્નદ્રષ્ટા નેતા, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું સ્વાગત કરી રહી છું. પ્રધાનમંત્રી, તમે એક એવી શક્તિ છો જેણે ભારતની સરકારને ફરીથી આકાર આપ્યો છે અને આપણા દેશને વિશ્વમાં એક અગ્રણી અને શક્તિશાળી સ્થાન આપ્યું છે.’
કમલા પ્રસાદ બિસેસરે કહ્યું, ‘તમારા દૂરંદેશી પગલાં દ્વારા, તમે ભારતની અર્થવ્યવસ્થાને આધુનિક બનાવી છે, એક અબજથી વધુ લોકોને સશક્ત બનાવ્યા છે અને સૌથી અગત્યનું, તમે વિશ્વભરના ભારતીયોના હૃદયમાં ગર્વની ભાવના જગાવી છે. પરંતુ તમે ફક્ત શાસન પૂરતું મર્યાદિત નથી, તે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યેનો તમારો આદર છે જે આજે આપણને અહીં એક કરે છે. જ્યારે તમે ૨૦૦૨ માં પહેલી વાર આપણા દેશમાં આવ્યા હતા, ત્યારે તમે વડા પ્રધાન નહોતા, પરંતુ એક સાંસ્કૃતિક રાજદૂત હતા. આજે તમે ૧.૪ અબજ લોકોના રાષ્ટ્રના વડા તરીકે પાછા ફરો છો, એક આદરણીય અને પ્રખ્યાત નેતા જેનો પ્રભાવ સરહદો પાર કરે છે. અમે તમારી સમક્ષ નમન કરીએ છીએ.’
ત્રિનિદાદના પીએમએ કહ્યું, ‘આજે આ સમારંભ ભારતીય ડાયસ્પોરા, આપણી સંસ્કૃતિ, ઇતિહાસ અને સહિયારી યાત્રા પ્રત્યે તમે બતાવેલી પ્રતિબદ્ધતાથી સૌથી વધુ પ્રેરિત છે. તમારા નેતૃત્વ હેઠળ, ભારતે ચાર વર્ષ પહેલાં રસી પહેલ દ્વારા સમગ્ર વિશ્વ તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો. તમે ખાતરી કરી કે રસીઓ અને આવશ્યક ચીજવસ્તુઓ ત્રિનિદાદ અને ટોબેગો જેવા નાના દેશોમાં પહોંચે. “તમારા ઉમદા કાર્યથી ડરને બદલે આશા અને શાંતિ મળી. તે માત્ર રાજદ્વારી કાર્ય નહોતું, પરંતુ સંબંધો, માનવતા અને પ્રેમનું કાર્ય હતું.” આ પ્રસંગે, ત્રિનિદાદ અને ટોબેગોએ પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો’ થી સન્માનિત કર્યા.







































