સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી બંધ કરવામાં આવેલી  પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ ફરીથી શરૂ કરવાની માંગ સાથે રજૂઆત સમયે વિધાર્થિનીનું શોકિંગ નિવેદન સામે આવ્યું છે, જેના કારણ વિવાદ થયો છે. વિધાર્થિનીએ કુલપતિને જણાવ્યું હતું કે પીએચડી કરવી હોય તો નીચે સૂવું પડે છે. વિધાર્થિનીએ કુલપતિ ડો ઉત્પલ જોશી સામે નિવેદન કર્યું છે. જો કે વિધાર્થિની જ્યારે રજૂઆત કરી રહી હતી ત્યારે કુલપતિ હસતા દેખાયા હતા. તમને જણાવી દઈએ કે યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી પીએચડીની પ્રવેશ પરીક્ષા ન લેવાતા એનએસયુઆઇ રજૂઆત માટે ગયું હતું. રજૂઆત દરમિયાન વિધાર્થિનીએ આ નિવેદન કર્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લે ૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ  પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે એનએસયુઆઇ દ્વારા પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ લેવાની માગ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સહયોગથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ-૨૦૨૦ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં એનએસયુઆઇ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કહ્યુ કે ‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો યુ.જી.સી.ની ગાઈડલાઈનનું બહાનું આપી પીએચડી પ્રવેશ પરીક્ષા લઈ રહ્યા નથી.

તો શું યુ.જી.સી.ની ગાઈડલાઈન્સ માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જ લાગુ પડે છે?, ગુજરાત યુનિવર્સિટી, સુરત યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ શા માટે પ્રવેશ પરીક્ષા લઈ રહી છે? નિયમો તમામ યુનિવર્સિટી માટે સરખા હોવા જોઇએ તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ પીએચડી. પ્રવેશ પરીક્ષા લેવાવી જ જાઇએ.

બીજી તરફ એનએસયુઆઇ દ્વારા કાર્યક્રમ બંધ કરાવવા પ્રયાસ કર્યો ત્યારે પોલીસ સાથે પણ ઘર્ષણ થયુ હતું. વિરોધ બાદ આ બાબતે કુલપતિ ડા. ઉત્પલ જાશીએ જે વિષયોમાં નેશનલ એલિજિબિલિટિ ટેસ્ટ કે સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરેલા વિદ્યાર્થીઓ નહીં હોય એવા વિષયોમાં આ વર્ષે  પીએચડીની પ્રવેશ પરીક્ષા આગામી દોઢ મહિનામાં લેવાઈ જશે તેવી જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ઉત્પલ જોષી મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગતરોજ એનએસયુઆઇ  રજૂઆત કરવા આવેલ ત્યારે ઓરલ વાત કરી હતી. અમને હજુ કોઈ લેખિત ફરિયાદ મળી નથી. જો આવી કોઈ ઘટના બની હોય તો યુનિવર્સિટીને અત્યાર સુધી કેમ ફરિયાદ કરી નથી. યુનિવર્સિટી સેક્સ્યુલર હેરેસ્ટમેન્ટ કમિટી છે, તેમને હજુ સુધી કોઈ જ ફરીયાદ મળી નથી.