ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાન દ્વારા પોતાના હવાઈ ક્ષેત્ર બંધ કરવા અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે અને ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દાનો ઉકેલ શોધવા માટે વિવિધ એરલાઇન્સ સાથે ચર્ચા કરી રહ્યા છે. એવી આશંકા છે કે એરલાઇન્સ હવાઈ ભાડામાં વધારો કરી શકે છે.

૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલા માટે પાકિસ્તાન સમર્થિત  ટીઆરએફને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. આ કારણે, ભારત સરકારે કડક કાર્યવાહી કરી અને પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ મુલતવી રાખી. આના પર, પાકિસ્તાને ભારતીય એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું. આની અસર એ થશે કે હવે વિદેશ જતી ભારતીય એરલાઇન્સના વિમાનોને લાંબો ચકરાવો લેવો પડશે. આનાથી સમય વધશે અને ખર્ચ પણ વધવાની શક્યતા છે.

હવે નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુએ કહ્યું કે ‘આપણે પરિસ્થિતિને સમજવાની અને નિર્ણય લેવાની જરૂર છે.’ સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. જો હવાઈ ભાડામાં મોટો વધારો થશે તો સરકાર ચોક્કસપણે તેના પર વિચાર કરશે. હાલમાં, અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. નાયડુએ કહ્યું કે સરકાર માટે મુસાફરોની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવિએશન એનાલિટિક્સ ફર્મ સિરિયમના ડેટા અનુસાર, ભારતીય એરલાઇન્સ ૬,૦૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સનું સંચાલન કરે છે. ઉત્તર અમેરિકા, બ્રિટન, યુરોપ અને મધ્ય પૂર્વ માટે દર અઠવાડિયે લગભગ ૮૦૦ ફ્લાઇટ્‌સનું સંચાલન થાય છે. ઇન્ડીગોએ જણાવ્યું હતું કે તેની લગભગ ૫૦ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ હવે લાંબા રૂટ પર જશે, જેના કારણે તેણે તેનું સમયપત્રક બદલવું પડશે.